મહીસાગરના સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન બે બાળકોના મોતની ઘટના સામે આવી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન કરંટ લાગતા બે બાળકોના ઘટનાસ્થળે મોત થયા.
વીજ વાયરના કારણે મળ્યું મોત
મળતી માહિતી મુજબ મહીસાગરના સંતરામપર તાલુકાના કેણપુર ગામની હાઈસ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તે દરમ્યાન સ્તંભ ઉભો કરતા સમયે વીજવાયરને અડતા કરંટ લાગ્યો હતો. વીજ વાયર સ્તંભ સાથે અડતા વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ઘટના સ્થળે દિપક રાણા અને ગણપત વળવાઈનું મોત નિપજ્યું. આ ઘટના બાદ વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગંભીર રીતે દાઝી ગયા હતા
વીજ કરંટ લાગવાને કારણે બંને વિદ્યાર્થીઓ પેટ અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી સ્થળ પર બંનેના મોત નીપજ્યા હતા. બંનેના મૃતદેહને સંતરામપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈસ્કૂલની બેદરકારી
માહિતી મળ્યા પ્રમાણે હાઈસ્કૂલની બિલ્ડીંગ પરથી જીવંત વાયર પસાર થતો હતો. આ દરમ્યાન આજે વરસાદ પણ વરસતો હતો અને તે વખતે બાળકોને લોખંડની પાઈપ ઊભી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આવા સમયે જો સ્કૂલ તરફથી ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કદાચ આ બાળકોનો જીવ બચી ગયો હોત. બે બાળકોના મોતથી તેમના પરિવાર માટે આજે તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.