કોરોના વાયરસ વચ્ચે દેશ પર બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઇ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચુકી છે. માંગરોળમાં પહેલો બર્ડફ્લૂનો કિસ્સો સામે આવતા જ જૂનાગઢ કલેક્ટરે કેટલાક પ્રતિબંધ લાદી દીધા હતા. તેવામાં હવે ગુજરાતમાં વધુ 2 બર્ડ ફલૂ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં વધુ 2 બર્ડ ફલૂ કેસ નોંધાયા
બારડોલીના મઢી ગામે બર્ડ ફ્લૂ કેસ નોંધાયા
5 દિવસ પહેલા 4 કાગડાઓના મોત થયા હતા
બર્ડફ્લુને લઇ દેશભરમાં અલર્ટ છે. ગુજરાત સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લુના કેસ નોંધાયા છે. અનેક રાજ્યોમાં ચિકન શોપ બંધ કરવાના આદેશ અપાયા છે. તેવામાં હવે સુરતના બારડોલીના મઢી ગામે બર્ડ ફ્લૂના 2 કેસ નોંધાયા છે. અહીં 5 દિવસ પહેલા હતા 4 કાગડાઓના મોત થયા હતા. આ 4 પૈકી 2 કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મઢી રેલ્વે ક્વાટર્સ નજીકથી મૃત કાગડાઓ મળી આવ્યા હતા. બર્ડ ફલૂના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર દોડતું થયું છે. કલેક્ટરે અનિવાર્ય સંજોગ સિવાય પ્રવેશ અટકાવ્યો છે. રેલ્વે ક્વાર્ટરના એક કિલોમીટર વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ડોળાશા ગામે વાડી વિસ્તારમાં 4 વિદેશી કુંજ ઉડતા ઉડતા ખેતરમાં પડી ગયા
ગીર સોમનાથમાં બર્ડ ફલૂને લઈ તંત્ર એલર્ટમાં આવી ગયું છે. ડોળાશા ગામે વાડી વિસ્તારમાં 4 વિદેશી કુંજ પક્ષીઓના મોતના મામલો સામે આવ્યો છે. મોડી રાત્રે ઉડતા ઉડતા આ પક્ષીઓ ખેતરમાં પડી ગયા હતા. આ ઉપરાંત ચીખલી ગામે પણ ફાર્મમાં 150 મરઘાના મોતનો મામલો સામે આવ્યો છે. રોજ 8થી 10 જેટલા મરઘાના મોત થવાના કિસ્સા સામે આવતા આ અંગે વનવિભાગને જાણ પણ કરવામાં આવી છે.
પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તાર માંથી 8 મોરના મૃતદેહ મળી આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે છેલ્લા થોડા દિવસો દરમિયાન 100 જેટલી મરઘીઓઓના શંકાસ્પદ મોત થયાનો મામલો સામે આવ્યો હતો. ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામ પાસે ભાદર ડેમના કાંઠે આઠથી દસ ટીટોડી મૃત હાલતમાં મળી આવતા વનવિભાગે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ વેટરનરી હોસ્પિટલ ખસેડ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કીયા ગામમાં એક સાથે 10થી વધુ કબૂતરના મોત થવાથી વન વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કબૂતરના મોત કેવી રીતે થયા તે અંગે તપાસ શરૂ કરી છે.
ભીમાસર ગામના ચકાચર તળાવમાં 38 જળચર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા
ગઇકાલે અંજાર નજીક ભીમાસર ગામના ચકાચર તળાવમાં જળચર પક્ષીઓના મોટી સંખ્યામાં મૃતદેહ મળી આવ્યા હતા. બર્ડ ફ્લૂની દહેશતની વચ્ચે 38 જેટલા જળચર પક્ષીઓના મોતને લઇને વન વિભાગ અને પશુ વિભાગ દોડતું થયું છે. હાલ એક પક્ષીને સેમ્પલ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. બાકી પક્ષીઓના ગ્રામજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં પ્રતિબંધ
ગત 5 જાન્યુઆરીએ જૂનાગઢના માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો હતો. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાતા જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને બાટવા ખારા ડેમ નજીક જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એક કિમી આસપાસના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. પક્ષીઓની આંખ લાલ થઇ જવાના લક્ષણો જોવા મળ્યા હતા. માણસોને પણ ચેપ લાગવાનો ભય રહેલો છે જેને કારણે મરઘા ઉછેર કેન્દ્રમાં થતી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકાયો છે. ઇંડાનું વેચાણ, મરઘાં કાપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલું જ નહીં પણ મરઘાની હેરાફેરી પર પણ પ્રતિબંધ લગાવાયો છે.
માનવી માટે ખતરનાક
બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.