ઘાટલોડિયા વિસ્તારમાં બે યુવકોએ સેલ્સ એક્ઝિકયુટિવ અને તેના ભાઈને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી તમે ડ્રગ્સ અને ગાંજો પીઓ છો અને વેચો છો તેમ કહી કારમાં અપહરણ કરી જેલમાં ન જવું હોય તો પચાસ હજાર આપી દો, નહિતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે.
ક્રાઈમ બ્રાન્ચના નામે બે ભાઈઓનું કારમાં અપહરણ
ખંડણી પેટે માગવામાં આવ્યા 50 હજાર
ઘાટલોડિયા પોલીસ સ્ટેશને નોંધાઇ ફરિયાદ
ઘાટલોડિયાના પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતા નૈતિક આર્યએ ત્રણ યુવકો વિરુદ્ધમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી છે. નૈતિક સતાધાર કોમ્પ્લેક્સમાં આવેલ એક ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. નૈતિક અને તેના કાકાનો દીકરો ઉર્વીશ બંને સોલારોડ પર પકોડી ખાઈને વાતો કરતા હતા તે દરમિયાન સાંજના પાંચેક વાગ્યાની આસપાસ આઈ-૧૦ કાર લઈ ગણેશ હાઉસિંગમાં રહેતા મોહન રબારી તથા સોલારોડ પાસે રહેતા તેના મિત્ર હર્ષ બારોટે નૈતિક પાસે આવીને કહ્યું કે તમે ડ્રગ્સ અને ગાંજો પીઓ છો અને વેચો છો. તેઓ આમ કહીને નૈતિક અને ઉર્વીશને બળજબરીપૂર્વક ધક્કા મારી કારમાં બેસાડી લઇ ગયા હતા.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારી આવી રહ્યા છે કહીને કારમાં બેસાડી રાખ્યા
સાહિલે સોલારિસ સ્કૂલની ગલીમાં લઇ જઈ કાર ઊભી રાખી હતી અને નૈતિકને જણાવ્યું કે તમે ગાડીમાં બેસો, ક્રાઇમ બ્રાન્ચના મોટા સાહેબ આવે છે, જો તમારે છૂટવું હોય તો પૈસાની વાત કરી લો, નહિતર વસ્ત્રાપુર અથવા શાહીબાગની જેલમાં પૂરી દઇશું. હર્ષ બારોટે આમ કહીને અન્ય એક વ્યક્તિને ફોન કરી બોલાવી હતી. તે વ્યક્તિએ પોતે ક્રાઇમ બ્રાન્ચમાં મોટા સાહેબ છે તેવી ઓળખ આપી હતી.
પૈસા માગ્યા નહીંતર જેલમાં મોકલી દેવાની આપી ધમકી
ત્યારબાદ તેમણે નૈતિક અને ઉર્વીશને કહ્યું કે તમારી પાસે જેટલા પૈસા હોય તે આપી દો, નહીંતર જેલમાં મોકલી દઇશું. તેમણે આમ કહેતાં નૈતિક કહેવા લાગ્યો કે અમારી પાસે કોઈ પૈસા નથી અને અમે કોઈ ખરાબ ધંધા પણ કરતા નથી. નૈતિકે આમ કહેતાં સાહિલ અને હર્ષ બંનેને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને તેમના મોબાઈલ ઝૂંટવી લીધા હતા. તે પછી તેમણે બંનેને કારમાં અન્ય જગ્યાએ લઇ જઈ કહ્યું કે તમારા ઘરેથી પચાસ હજાર રૂપિયા મંગાવી લો, નહિતર તમારા બંનેનાં મર્ડર કરી નાખીશું. તેમણે આમ કહેતાં નૈતિકે પૈસા હમણાં નથી, પગારના રૂપિયા આવશે એટલે આપીશું તેવી વાત કરી હતી.
બંન્ને યુવકો નજર ચૂકવીને ભાગ્યા
ત્યાર બાદ બંનેને કારમાંથી નીચે ઉતારી હર્ષ કારમાંથી લાકડી લઇ માર મારવા લાગ્યો હતો. તે દરમિયાન તકનો લાભ લઈ નૈતિક અને ઉર્વીશ તેમની નજર ચૂકવી નાસી છૂટ્યા હતા અને બંનેએ ઘરે આવી પરિવારને જાણ કર્યા બાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.