શહેરના આંબાવાડી વિસ્તારમાં એક સગીરાની હત્યાને હજુ ૨૪ કલાક પણ પૂરા થયા નથી ત્યારે મોડી રાત્રે ઇસનપુરના મિલ્લતનગરમાં રહેતા બે ભાઇઓએ યુવકની તેની માતાની નજર સામે જ ઘાતકી હત્યા કરી છે. મરનાર યુવક માનસિક બીમાર હતો અને છેલ્લાં બે વર્ષથી બે ભાઇઓ તેમજ અન્ય લોકોને બીભત્સ ગાળો બોલતો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા ભાઈઓએ યુવકને રહેંસી નાખ્યો હતો.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં બન્યો ચકચારી બનાવ
પુત્રને બચાવવા જતાં માતા પણ થઇ ઈજાગ્રસ્ત
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાથી ખળભળાટ
માનસિક બિમારીના કારણે લોકોને બોલતો હતો ગાળો
ઇસનપુર વિસ્તારમાં આવેલ મિલ્લતનગરમાં રફીક હોટલની પાછળ રહીમભાઇની ચાલીમાં રહેતી સાયરાબાનું મહમદ યાસિન શેખે પડોશમાં રહેતા બે ભાઇ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. સાયરાબાનું સંયુક્ત પરિવારમાં રહે છે અને તેમનો ૨૧ વર્ષિય આસિમ ઉર્ફે બાબા હડ્ડી છેલ્લા બે વર્ષથી માનસિક બીમાર છે. આસિમ બીમાર હોવાથી તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જેના કારણે તે કોઇ કામ ધંધો પણ કરતો નથી. આસીમની બીમારીના કારણે લોકોને ગાળો બોલતો હતો અને તેમની પાસેથી રૂપિયા માગતો હતો.
પોલીસ ઇન્ચાર્જ ઇન્સપેકટરે હત્યાનું કારણ જણાવ્યું
ઇસનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.પટેલે જણાવ્યું છે. આસિમની આ હરકતોનો ભોગ પડોશમાં રહેતા બે અફઝલ અહેમદ અલી શેખ અને અત્તર ઉર્ફે અત્તર પણ બન્યા હતા. આસિમ અવારનવાર બંને ભાઇઓને ગાળો બોલતો હતો અને તેમની પાસેથી રૂપિયાની માગણી કરતો હતો. અફઝલ અને અત્તર આસિમની આ હરકતોથી કંટાળી ગયા હતા અને તેની હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હતો.
મોડી રાત્રે હુમલો કરી હત્યા કરી
ગઇ કાલે મોડી રાત્રે આસિમ અફઝલ અને અત્તરને ગાળો બોલતો હતો ત્યારે બંને જણાએ તેના પર હુમલો કરી દીધો હતો. અફઝલ અને અત્તરને ઉપરાછાપરી આસીમ પર ચપ્પા ધા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. જાહેરમાં થયેલી આ ઘટનાને રોકવા માટે અને આસિમને બચાવવા માટે વચ્ચે પડેલી સાયરાબાનુંને પણ ઇજા પહોંચી હતી. ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકીને અફઝલ અને અતરે માતાની સામે જ પુત્ર આસીમને મોતને ઘાટ ઉતાર્યો હતો.
હત્યા કરી બંને ભાઇઓ નાસી ગયા
આસિમની હત્યા કરીને બન્ને ભાઇઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા જ્યારે લોહીથી લથપથ હાલતમાં આસિમને હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ સાયરાબાનુંની પણ સારવાર કરવામાં આવી હતી. ઘટનાની જાણ ઇસનપુર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
પોલીસે આસિમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે જ્યારે ગણતરીના કલાકોમાં બે ભાઇઓ પૈકી એક આરોપીની અટકાયત કરી લીધી છે. પીઆઇ પટેલે વધુમાં જણાવ્યુ છેકે આસિમ માનસિક બીમાર હતો જેની સારવાર પણ ચાલતી હતી. જે સાયરાબાનુંએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ પ્રાથમિક તપાસમાં બંને ભાઇઓને ગાળો બોલતો હોવાથી તેમણેે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે પરંતુ આરોપીની સઘન પૂછપરછ બાદ હત્યાની સાચી હકીકત જાણવા મળશે.