સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધ્રાંગધ્રા તાલુકાના કુડા-કોપરણી રણ વિસ્તારમાં ત્રણ ઘુડખરોની હત્યા કરેલી હાલતમાં મૃતદેહો મળી આવતાં ચકચાર મળી મચી ગઇ હતી. મૃતદેહ મળી આવતાં ગ્રામજનો દ્વારા વન-વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઇને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે હાલમાં મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.
ઘુડખરની હત્યાના મામલે બે આરોપીની કરાઈ ધરપકડ
કુડા-કોપરણી રણ વિસ્તારમાં ત્રણ ઘુડખરની કરી હતી હત્યા
ઘુડખરની હત્યા મામલે મુખ્ય આરોપી હજુ ફરાર
સુરેન્દ્રનગર જીલ્લાના રણ વિસ્તારમાં ઘુડખરોની હત્યા કરનારા આરોપીઓમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાટડી તાલુકાના રણ વિસ્તારને કચ્છના નાના રણ તરીકે ઓળખવામાં આવે છે અને અહીં આવેલ અભ્યારણ્યમાં ધુડખર સહિતની દુર્લભ પ્રજાતિઓના પશુઓ વસવાટ કરે છે.
થોડા દિવસો પહેલા ધ્રાંગધ્રા તાલુકાનાં કુડા-કોપરણી રણ વિસ્તારમાં ત્રણ ધુડખરોના હત્યા કરેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યાં હતા. આ મામલે સ્થાનિક વન વિભાગ સહિત પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. જેમા પ્રાથમિક તપાસમા ફાયરિંગ કરી ગોળી મારી ત્રણ ધુડખરોની હત્યા નિપજાવી હોવાનુ બહાર આવ્યુ હતુ.
આ મામલે મદદ કરનાર બે આરોપીની ધરપકડ કરીને મુખ્ય આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. પકડાયેલા આરોપીએ પૂછપરછ દરમિયાન કુડા-કોપરણી વચ્ચે આવેલા રણ વિસ્તારમાં ઘુડખરનું ટોળુ નજરે પડતાં તેમના પર ફાયરિંગ કરતાં ત્રણ ઘુડખરોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા આરોપીઓની વધુ પુછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના મોજ-શોખ માટે અને શિકાર કરવાના હેતુથી ફાયરિંગ કર્યું હોવાનું પણ બહાર આવ્યું હતું.