ટ્વિટરે 1100 એકાઉન્ટસ બંધ કરવાનો સરકારી આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો છે.
ભારત સરકારે ટ્વિટરને 1100 એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ કર્યો હતો.
ટ્વિટરે ભારતમાં તો 1100 એકાઉન્ટ બંધ કર્યાં પણ વિદેશમાં આ એકાઉન્ટ ચાલુ
આ 1100 એકાઉન્ટ કૃષિ કાયદાની વિરુદ્ધ ભ્રામક માહિતી ફેલાવે છે-સરકારનો આરોપ
ટ્વિટર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એવું જણાવાયું કે અમારે માટે 1100 એકાઉન્ટસ બંધ કરવાના સરકારના પૂરા આદેશનું પાલન કરવું અઘરુ છે. કારણ કે આ એકાઉન્ટ બંધ કરવાનો આદેશ ભારતીય કાયદા અનુરુપ નથી.
દેશ બહારના લોકો ટ્વિટ કરી શકે છે.
ટ્વિટરે કહ્યું કે અમે બીજા કેટલાક એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરી દીધા છે પરંતુ કેટલાક એકાઉન્ટનો એક્સેસ ભારતમાં પ્રતિબંધિત કર્યો છે પરંતુ દેશ બહારના લોકો ટ્વિટ કરી શકે છે.
500 એકાઉન્ટ તો બંધ કરી દીધા છે
ટ્વિટરે કહ્યું કે ટ્વિટરનો ખોટો ઉપયોગ કરી રહેલા 500 એકાઉન્ટને તો બંધ કરી દેવાયા છે. તેની સાથે હિંસાને ઉત્તેજન આપનાર એકાઉન્ટની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક એકાઉન્ટને જિયો બ્લોક કરાયા છે એટલે કે આ એકાઉન્ટમાંથી ભારતમાં ટ્વિટ ન કરી શકાય.
ભારત સરકારે ટ્વિટરને 1100 એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ કર્યો હતો. આ તમામ એકાઉન્ટ નવા કૃષિ કાયદાની સામે અફવા ફેલાવી રહ્યાં છે તેવો સરકારનો આરોપ છે. સરકારનો એવો પણ દાવો છે કે કેટલાક એકાઉન્ટને પાકિસ્તાનનો અથવા તો શીખ અલગાવવાદીઓનો સપોર્ટ છે.સરકારે ગત અઠવાડિયે ટ્વિટરને એક નોટીસ મોકલીને ચેતવણી આપી હતી કે જો ટ્વિટર દ્વારા નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેના અધિકારીને 7 વર્ષની જેલની સજા થઈ શકે છે.
મીડિયાની આઝાદીમાં ખોટી માહિતી ફેલાવવાની આઝાદી સામેલ નથી.
સરકારે ટ્વિટરને નવા એકાઉન્ટ બ્લોક કરવાનું જણાવતા એવી દલીલ કરી હતી કે મીડિયાની આઝાદીમાં ખોટી માહિતી ફેલાવવાની આઝાદી સામેલ નથી.
પત્રકારો, ન્યૂઝ મીડિયા, કાર્યકરો અને રાજકીય નેતાઓના એકાઉન્ટ બંધ નહીં કરીએ
ટ્વિટરે કહ્યું કે અમે અભિવ્યક્તિની આઝાદીને બચાવવાની નીતિ અનુરુપ પત્રકારો, ન્યૂઝ મીડિયા, કાર્યકરો અને રાજકીય નેતાઓના એકાઉન્ટ પર કોઈ કાર્યવાહી કરી નથી. અમારુ માનવું છે કે આવું કરવાથી ભારતીય કાયદા હેઠળ અભિવ્યક્તિની આઝાદીના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાશે. અમે માહિતી પ્રસારણ મંત્રાલયને આ અંગે જાણ કરી દીધી છે.
ટ્વિટરે માહિતી ટેકનોલોજી પ્રધાનને મળવાનો સમય પણ માગ્યો હતો પરંતુ મંત્રાલય દ્વારા ટ્વિટરની આ વિનંતી નકારી કઢાઈ હતી અને તેને બદલે મંત્રાલયના ટોચના અધિકારીઓનો સંપર્ક સાધવાનું જણાવી દેવાયું હતું.