સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે. ક્લાસીસમાં આગ લાગતા વિદ્યાર્થીઓનાં મોત થતા હવે અલગ-અલગ શહેરોમાં એક પછી એક ટ્યુશનો પર એક્શન લેવામાં આવી રહેલ છે. ફાયર સેફ્ટી મામલે ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનાં આદેશ પણ આપવામાં આવ્યાં છે.
સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે. સરકારનાં આદેશ બાદ હવે અમદાવાદનાં એલિસબ્રિજમાં મોટી સંખ્યામાં ટ્યુશન સંચાલકો એકત્ર થયા હતાં. ટ્યુશન ક્લાસીસ સંચાલકો પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવા માટે પહોંચવાના હતાં. રજૂઆત કરવા માટે પહોંચે તે પહેલા જ પોલીસે સંચાલકોની અટકાયત કરી હતી.
મહત્વનું છે કે, ફાયર સેફ્ટી મામલે ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે. ફાયર સેફ્ટી લગાવવા માટે સમય આપવાની ટ્યુશનનાં સંચાલકોએ માંગ કરી છે. જેનાં કારણે ટ્યુશન સંચાલકો એકત્ર થઈને કમિશ્નરને રજૂઆત કરવાના હતાં.
તમને જણાવી દઇએ કે સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં આગ લાગવા મામલે સમગ્ર રાજ્યમાં હાલ વાતાવરણ છેલ્લાં કેટલાંય દિવસોથી તંજ છે. આ દુર્ઘટનામાં કુલ 23 વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યાં હતાં. જો કે હવે સરકાર અને તંત્રની આંખો ઉઘડી છે. ક્લાસીસમાં આગ લાગતા વિદ્યાર્થીઓનાં મોત થતા હવે અલગ-અલગ શહેરોમાં એક પછી એક ટ્યુશનો પર એક્શન લેવામાં આવી રહેલ છે.
તમને જણાવી દઇએ કે રાજ્યનાં જામનગરમાં પણ ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં NOC વિના ચાલતા ટ્યુશન ક્લાસીસ પર મનપાનાં ફાયર અને એસ્ટેટ શાખાએ કાર્યવાહી કરી છે. મહિલા કોલેજ પાસેનાં ક્લાસીસોમાં ફાયર વિભાગે તપાસ કરી હતી. આ દરમ્યાન અધિકારીઓએ 2 કોમ્પ્યુટર ક્લાસ અને 1 ટ્યુશન ક્લાસ પણ બંધ કરાવ્યાં હતાં. વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કાઢીને સીલ માર્યા હતાં.
તો બીજી બાજુ બે દિવસ પહેલા બનાસકાંઠામાં પણ ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બનાસકાંઠા ફાયર વિભાગની 3 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. કલેક્ટરની સૂચના દ્વારા તપાસ ટીમ બનાવાઇ હતી. જેમાં પાલનપુર, ડીસા સહિતનાં વિસ્તારોમાં જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા તપાસ કરાઇ હતી.