આજે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી તુર્કીયેની ધરા ધણધણી ઉઠી છે. તુર્કીયેમાં આવેલા 5.2ના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ 10 કિમી ઊંડાઈએ નોંધાયું છે.
તુર્કીયેમાં ફરી જોરદાર ભૂકંપને કારણે ધ્રુજી ધરા
રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી તીવ્રતા
6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 46 હજારને પાર
તુર્કીયેની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિન્દુ 10 કિલોમીટર (6.21 માઇલ)ની ઊંડાઈએ હતું. જોકે, આ ભૂકંપના આંચકા પછી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે.
કાટમાળમાંથી કાઢવામાં આવી રહ્યા છે મૃતદેહો
તુર્કીયે અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી સર્જાયેલી તબાહી બાદ દુનિયાભરના બચાવ કર્મીઓ રાહત કાર્યમાં લાગેલા છે. કાટમાળમાંથી સતત મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. બંને દેશોમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. એકલા તુર્કીયેમાં મૃતકોની સંખ્યા 40,642 છે, જ્યારે પડોશી સીરિયામાં 5,800થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
20 લાખથી વધુ લોકો બેઘર
તુર્કીયે અને સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ 84,000થી વધુ ઈમારતો કાં તો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અથવા તો પડી ગઈ છે. મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીયે અને સીરિયામાં 20 લાખથી વધુ બેઘર લોકો આશ્રયસ્થાનોમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક એજન્સીઓ ઉપરાંત ભારત સહિત 70થી વધુ દેશો અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.
ભારતીય સેના એક્શન મોડમાં
ભૂકંપ પીડિતો માટે સતત રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. તુર્કીયે અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ ભારતીય સેના સતત એક્શન મોડમાં છે. રેસ્ક્યુ ઓપરેશનથી લઈને ઈજાગ્રસ્તોની સારવાર સુધી સેના સતત બંને દેશોની મદદમાં લાગેલી છે. જોકે, સીરિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભૂકંપના કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે, પરંતુ વિદ્રોહીઓએ આ વિસ્તારો પર કબજો જમાવ્યો હોવાને કારણે રાહત સામગ્રી પહોંચાડવામાં અડચણ આવી રહી છે.