એપ્રિલથી જૂન 2020 ના પહેલા ક્વાર્ટરમાં, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં લગભગ 24 ટકાનો ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપીમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે.
આ અંગે પૂર્વ કેન્દ્રીય ફાઇનાન્સ સેક્રેટરી સુભાષ ગર્ગે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ ઘટાડાથી અર્થવ્યવસ્થાને 20 લાખ કરોડના ઝાટકો લાગી શકે છે અને દેશની આવકમાં મોટો ઘટાડો થઇ શકે છે.
વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દેશની જીડીપીમાં સરેરાશ 10 થી 11 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેનો સીધો અર્થ એ છે કે દેશની આવક ઓછી હશે. અર્થતંત્રના મુખ્યત્વે ત્રણ ભાગો છે, જે વિવિધ સ્વરૂપોમાં આવક મેળવે છે.
કેવી રીતે દેશના તમામ વર્ગોની આવક ઘટશે?
તેમાંથી પ્રથમ શ્રમિક, પગારદાર વર્ગ, બીજો ઉદ્યોગપતિ વર્ગ અને ત્રીજી સરકાર જે ટેક્સ વસૂલ કરે છે. માની લો કે ત્રણ વિભાગને જોડીને કુલ 100 રૂપિયાની આવક થઈ છે, તો 60 ટકા કામદાર પગારદાર વર્ગમાં જાય છે. તે જ સમયે સરકાર દ્વારા 20 થી 25 ટકા અને ઉદ્યોગપતિ દ્વારા 15 થી 20 ટકાની આવક થાય છે.
જો અર્થતંત્રમાં 10 ટકાનો ઘટાડો થાય છે, તો આ પ્રમાણે દરેકની કમાણી ઓછી થાય છે. હાલના આંકડા મુજબ, જો અર્થતંત્રમાં 10 ટકાનો ઘટાડો થાય તો અર્થવ્યવસ્થાને 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. જો આવક ઓછી થશે તો ખર્ચ પણ ઓછો થશે. ગ્રાહક ખર્ચમાં ઘટાડો થવાથી તમામ આર્થિક પ્રવૃત્તિઓને અસર કરશે.
પાછલા વર્ષ કરતા પણ હાલત ખરાબ
ગયા વર્ષે આ સમય દરમિયાન વીજળીનો વપરાશ ઓછો હતો અને તેની તુલનામાં આ વર્ષે તે હજુ ઓછો છે. જીએસટીના આંકડા સામાન્ય સ્તરે પહોંચ્યા નથી. સર્વિસ સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં, બીજા ક્વાર્ટરમાં પણ અર્થતંત્રમાં 12 થી 15 ટકાનો ઘટાડો થશે. ત્રીજા ક્વાર્ટરમાં પરિસ્થિતિમાં સુધારો થયા પછી પણ ચારથી પાંચ ટકાનો ઘટાડો થઈ શકે છે.
લોકડાઉનની અર્થતંત્રની સ્થિતિ ઉપર કેટલી અસર?
લોકડાઉનથી કોરોના વાયરસનો ફેલાવો ધીમો થઇ ગયો, પરંતુ અર્થતંત્રને વધુ નુકસાન થયું. અર્થતંત્રની અવગણના કર્યા વિના ઇમ્યુનીટી વધારવા માટે કામ કરવું જોઈતું હતું જેથી વાયરસનો ફેલાવો રોકી શકાય અને અર્થતંત્રને પણ ઓછું નુકશાન થાય.
નોટબંધીની અર્થતંત્ર ઉપર શું અસર પડી?
અર્થવ્યવસ્થામાં અસંગઠિત, અનૌપચારિક પ્રવૃત્તિઓનો મોટો હિસ્સો હતો. અહીં મોટાભાગની ચુકવણી રોકડમાં થતી હતી. લગભગ 25 થી 30 ટકાની અનૌપચારિક અર્થવ્યવસ્થા પર ડિમોનેટાઇઝેશનને કારણે ભારે અસર પડી હતી, પરંતુ તેનો એક ફાયદો એ પણ થયો હતો કે મોટા ભાગના અસંગઠિત ક્ષેત્રોએ સંગઠિત ક્ષેત્ર તરીકે ધંધો કરવાનું શરૂ કર્યું છે. આમ નોટબંધીની મિશ્ર અસરો જોવા મળી છે.
અર્થવ્યસ્થા સુધારવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ?
દેશમાં લગભગ 7.5 કરોડ માઇક્રો, સ્મોલ, મીડીયમ ઉદ્યોગો (MSMEs) છે. સરકારે તેમને મદદ કરવી જોઈએ. આત્મનિર્ભર ભારત હેઠળ શરૂ કરાયેલ યોજનાઓનો લાભ ફક્ત 40-45 લાખ લોકોને મળી રહ્યો છે. MSMEમાં બાકી રહી ગયેલા મોટા વિભાગને મદદ કરવી જોઈએ. બીજી કેટેગરી લગભગ 10-12 કરોડ કામદારોની છે, જેમની પાસે કોઈ કામ નથી. સરકારે તેમને મદદ કરવી જોઈએ. સમગ્ર અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે સરકારે વિવિધ પાયાના ક્ષેત્રોમાં મૂડી ખર્ચ વધારવો જોઈએ.