અમેઠીનાં આંગણામાં તુલસી. તમે સમજી ગયા હશો કે આપણે વાત કરી રહ્યાં છે સ્મૃતિ ઈરાનીની. 50 વર્ષથી કોંગ્રેસનો કબ્જામાં રહેલ અમેઠીનો ગઢ સર કરવો સહેજ પણ સહેલો ન હતો. પરંતુ એ સરળ કઈ રીતે બન્યું તેની કહાની 'સાંસ કભી બહુ થી' કમ નથી. રાહુલ ગાંધીને કરારી હાર આપવા માટે સ્મતિએ અમેઠીમાં એવો તો શું જાદુ કર્યો? ત્યારે જોઈએ અહીં રિપોર્ટમાં.
કોંગ્રેસનો અમેઠીનો ગઢ સર કરવો સહેલો ન હતો. સિરિયલમાં તુલસીનાં રોલથી છવાઈ ગયેલી સ્મૃતિ ઈરાનીનાં અમેઠી પર કબ્જાની કહાની તેની સિરિયલ સાંસ કભી બહુથી જેટલી જ રસપ્રદ છે. 2014માં સ્મૃતિ ઈરાનીને રાહુલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 2019માં સ્મૃતિએ રાહુલ ગાંધીને અમેઠીની સીટ પર બુરી રીતે હરાવ્યા. આ સાથે જ ગાંધી પરિવારનો 50 વર્ષ જૂનો ગઢ ધરાશાયી થઈ ગયો.
2014માં અમેઠીમાં હાર મળ્યાં પછી સ્મૃતિ ઈરાનીએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે 2019માં અમેઠી જીતીને જ રહેશે અને આ માટે સ્મૃતિએ મહેનત પણ એટલી જ કરી. પોતાની હાર પછી સ્મૃતિ સતત અમેઠીનાં આંટાફેરા કરવા લાગ્યાં. ત્યાંનાં વિકાસ કાર્યો પર ધ્યાન આપવા લાગ્યા. એટલું જ નહીં અમેઠીનાં વિકાસ પર નજર રાખવા ભાડે મકાન રાખી દિવસ-રાત અમેઠીની સેવામાં લાગી ગયા.
2014થી 2019 દરમિયાન સ્મૃતિ ઈરાની 63 વખત અમેઠીની મુલાકાત લીધી. જ્યારે રાહુલ પાંચ વર્ષમાં માત્ર 28 વખત જ અમેઠી ગયા હતાં. સ્મૃતિ ઈરાની ઘણી વખત ઓચિંતા જ અમેઠી પહોંચી જતાં અને જરૂરિયાતમંદને સાડી, કપડાં, પુસ્તકો વગેરેનુ દાન પણ કરતાં. તો આ વર્ષે માર્ચમાં અમેઠીમાં ભાજપ સરકાર માટે સારી તક આવી પ્રધાનમંત્રી મોદીએ આધુનિક કાલાનિશ્કોવ રાઈફલ નિર્માણની ફેકટરીનુ લોકાર્પણ કરી અમેઠીમાં વિકાસના વાવેતર કરી દીધાં.
2014માં જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીમાં હાર્યા પછી નક્કી કર્યું કે હવે અમેઠી જીતી ને જ રહીશ. હારનાં એક મહિના બાદ સ્મૃતિ ઈરાની અમેઠી પાછાં ફર્યાં અને ગ્રામજનોની પ્રત્યેક મુશ્કેલીમાં સાથે રહ્યાં. તે પછી ખેડૂતોને યુરિયા, એમોનિયા ખાતર મળતું ન હોય કે વીજળી પાણી કે રસ્તાની સમસ્યા હોય. સ્મૃતિએ અમેઠીમાં રેલવે અને વીજળીને લગતાં કામ પાર પાડ્યા. તો અમેઠી-રાયબરેલી વચ્ચે નેશનલ હાઈવે અને સૈનિક સ્કૂલ બને તેની પહેલ પણ સ્મૃતિ ઈરાનીએ કરી.
એક પછી એક વિકાસ કાર્યો જોઈ અમેઠી હવે બરોબરનુ સ્મૃતિની મુઠ્ઠીમાં આવી ગયું હતું. સ્મૃતિની અમેઠી અને તેની આસપાસનાં વિસ્તારોની મુલાકાત વધતી ગઈ. અમેઠી સ્મૃતિ ઈરાની માટે બીજું ઘર બની ગયું હતું. જેનું પરિણામ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જ જોવા મળી ગયું. ભાજપે અમેઠી વિસ્તારની 4 વિધાનસભા સીટ પર કબ્જો મેળવ્યો. કોંગ્રેસ અને સમાજવાદીના ગઠબંધનને એવો તો ઝટકો આપ્યો કે પછી તેને બેઠા થવાનો સમય જ ન આપ્યો.
હવે સ્મૃતિને પાછળ જોવાનો વખત નહોતો. સ્થાનિક ધારાસભ્યોનો સાથ મળતાં સ્મતિનો વિજય આસાન દેખાતો હતો. તો યૂપી સરકારના કેટલાંક મંત્રીઓ પણ અમેઠીની સેવામાં લાગી સ્મૃતિ ઈરાનીની જીતને સરળ બનાવી રહ્યાં હતાં. ત્યારે રાહુલ ગાંધીને બીજી બેઠક વાયનાડમાં ઊભા રહેવા સિવાય છૂટકો ન હતો. રાહુલ પામી ગયા હતાં કે અમેઠી હવે મને નહીં અપનાવે. અમેઠીના લોકોના હૃદયમાં સ્મૃતિએ ઘર બનાવી લીધું હતું. .આ બધાં પરિણામ સ્વરૂપ આખરે અમેઠીનો કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થયો. અને ભાજપનો ભગવો લહેરાયો.