સુરતના ભીષણ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ ટ્યૂશન કલાસીસમાં ફાયર સેફટીની સુવિધા ફરજિયાત અમલી બનાવવાની દિશામાં કવાયત આરંભાઇ છે. જ્યારે બીજી તરફ શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી ર૩ જુલાઇ સુધી ફાયર એનઓસીના મામલે તમામ ટ્યૂશન કલાસીસ બંધ રાખવા આદેશ અપાયો છે.
પરિણામે ટ્યૂશન કલાસીસના સંચાલકો રઘવાયા થઇને ફાયર સેફટીનાં સાધનો વસાવીને તત્કાળ તંત્રની એનઓસી મેળવવા દોડધામ કરી રહ્યા છે. આવા ગભરાટભર્યા માહોલમાં લેભાગુ તત્ત્વોને ફાવતું જડ્યું હોઇ ટ્યૂશન કલાસીસમાં લગાવાતા ૪૦ ટકા ફાયર એક્સટિંગ્વિશર નકલી હોવાનું જાણકાર સૂત્રો કહે છે, જોકે આ મામલે હજુ સુધી એક પણ ટ્યૂશન કલાસીસના સંચાલક દ્વારા જે તે સપ્લાયર કે ડીલર સામે પોલીસ ફરિયાદ કરાઇ નથી.
શહેરમાં અંદાજે ૩૦૦૦ ટ્યૂશન કલાસીસ ધમધમી રહ્યા છે. આ ટ્યૂશન કલાસીસ કાં તો જે તે બિલ્ડિંગના ટેરેસ અથવા તો બેઝમેન્ટમાં પણ ચાલતા હોઇ ગમે ત્યારે આગની હોનારત બની શકે તેમ છે. ટ્યૂશન કલાસીસના સંચાલકો માટે ફાયર બ્રિગેડની એનઓસી મેળવવી ફરજિયાત કરાઇ હોઇ અત્યારે સંચાલકો બેબાકળા બનીને ફાયર એક્સટિંગ્વિશર સહિતનાં સાધનોને વસાવી રહ્યા છે.
જોકે હાલની સ્થિતિમાં અંધાધૂંધી ફેલાઇ હોય દિલ્હીથી નકલી ફાયર એક્સટિંગ્વિશરના ઢગલા શહેરમાં ઠલવાઇ રહ્યા છે અને ખુદ ફાયર બ્રિગેડની તપાસમાં ટ્યૂશન કલાસીસમાં લગાવાયેેલા ૪૦ ટકા જેટલા ફાયર એક્સટિંગ્વિશર નકલી હોવાનું જાણવા મળ્યું છે. નકલી ફાયર એક્સટિંગ્વિશરમાં શંખજીરું, ચૂનો, માટી નાખીને છેતરપિંડી કરાઈ રહી છે, જ્યારે ખરેખર તો એક્સટિંગ્વિશરમાં આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ પાવડર અથવા તો વાયુ સ્વરૂપે હોવો જોઈએ તેમ ફાયરબ્રિગેડના એક ઉચ્ચ અધિકારી નામ ન આપવીની શરતે કહે છે.
દરમ્યાન ફાયર બ્રિગેડ વિભાગ પાસે અત્યાર સુધીમાં કુલ ર૦૮ર ટ્યૂશન કલાસીસની અરજી આવી છે, જે પૈકી તંત્ર દ્વારા આજદિન સુધીમાં ૧૧૦૦ જેટલી અરજીમાં એનઓસી અપાઇ છે, જોકે હવે સ્કૂલ, કોલેજનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થનાર હોઇ ફાયર બ્રિગેડે ૧ર જેટલી ટીમને શહેરભરમાં આવેલા ટ્યૂશન કલાસીસની સ્થળ તપાસ કરીને મૂકેલાં ફાયર સાધનો યોગ્યતાના આધારે એનઓસી આપવાની સત્તા અપાઇ છે એટલે હવેથી ટ્યૂશન કલાસીસના સંચાલકોની અરજીઓનો નિકાલ ઝડપભેર થઇ શકશે.
જોકે ફાયર બ્રિગેડ દ્વારા સુરતના ભીષણ અગ્નિકાંડના પગલે જે તે કોમ્પ્લેકસના ટેરેસ પર ધમધમતા ટ્યૂશન કલાસીસને એનઓસી અપાતી નથી એટલે ટેરેસ પરનાં ટ્યૂશન કલાસીસના વ્યવસાય પર નભતા લેભાગુ ધંધાર્થીઓ હવે રઘવાયા બન્યા છે. આ ઉપરાંત જે તે કોમ્પ્લેકસના બેઝમેન્ટમાં પણ ટ્યૂશન કલાસીસની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકાઇ ગયો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આદેશના પગલે તંત્ર બેઝમેન્ટના ટ્યૂશન કલાસીસને પણ ફાયર એનઓસી આપતું નથી.
આ ઉપરાંત જે ટ્યૂશન કલાસીસમાં વિદ્યાર્થીઓના વર્ગ માટે લાકડાનું પાિર્ટશન હોય તેવા પાિર્ટશનને હટાવીને તે જગ્યાએ પાકી દીવાલ અથવા કાચનું પાિર્ટશન ઊભું કરવાનો આગ્રહ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરાઇ રહ્યો છે. પાકી દીવાલ અથવા કાચનું પાિર્ટશન ધરાવતા ટ્યૂશન કલાસીસને જ એનઓસી અપાઇ રહી છે.
આ ઉપરાંત કેટલીક જગ્યાએ ખૂણા-ખાંચરામાં હવાની યોગ્ય અભાવ ધરાવતા ટ્યૂશન કલાસીસમાં સત્તાવાળાઓ વેિન્ટલેશનનો પણ આગ્રહ રાખે છે. પર્યાપ્ત વેિન્ટલેશનની વ્યવસ્થા ઊભી કરાયા બાદ જ તેવા ટ્યૂશન કલાસીસને તંત્રની એનઓસી મળી રહી છે.
તંત્રની ટીમ દ્વારા જે તે ટ્યૂશન કલાસીસના સંચાલકની ફાયર એનઓસીની અરજી સંદર્ભે સ્થળ તપાસ માટે કોઇ ફી લેવાતી નથી તેમજ જો ફાયર સેફટીના ઉપકરણો ધારા-ધોરણ મુજબનાં યોગ્ય હોય તો તે માટે અપાતા એક વર્ષના એનઓસીનાં પ્રમાણપત્ર માટે પણ કોઇ ફી લેવાતી નથી.