લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે અને આ સિવાય તેમાં અનેક પ્રકારના મિનરલ્સ પણ મળી રહે છે. શિયાળો આવે એટલે શાક માર્કેટમાં અલગ જ ગ્રીનરી જોવા મળે. પાલક, મેથી, લીલી ડુંગળી, તાંદળજાની ભાજી, સૂવાની ભાજી. આજે વાત કરીએ પાલકની. પાલકને આર્યન અને મીનરલ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે પાલકનું શાક, થેપલાં કે પુલાવ ખાઈને કંટાળ્યા છો તો ટ્રાય કરી લો નવી વાનગી પાલકના ઢોકળાં. બ્રેકફાસ્ટ માટે આ બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન હોઈ શકે છે. તો જાણો રેસિપી.
સૌપ્રથમ પાલકનાં પાનને દાંડી સાથે જ વરાળે બાફી લો. ઠંડા થાય એટલે એમાં આદું અને મરચાં ઉમેરી મિક્સમાં પ્યુરી બનાવી લો અને અલગ રાખો. હવે એક બાઉલમાં ચણાનો લોટ, પાલકની પ્યુરી, દહીં અને તેલ લઈ મિક્સ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ખીરું બનાવી લો. ખીરું ખૂબ પાતળું પણ નહીં અને ખૂબ ઘટ્ટ પણ નહીં એવું હોવું જોઈએ. હવે ખીરામાં મીઠું, લીંબુનો રસ, સાકર ઉમેરી મિક્સ કરો અને પાંચથી ૧૦ મિનિટ માટે સેટ થવા દો. હવે સોડા ઉમેરી હલાવો અને તેલ લગાવેલી થાળીમાં પાથરો. ઢોકળાંને ૧૫થી ૨૦ મિનિટ માટે વરાળે બાફી લો. ઢોકળાં બફાઈ જાય એટલે ગૅસ પરથી ઉતારી ઠંડાં કરો. હવે વઘાર કરવા માટે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરી ગરમ કરો. તલ અને રાઈ ફૂટે એટલે ગૅસ બંધ કરી વઘારમાં ત્રણ ચમચા પાણી ઉમેરો. તૈયાર કરેલો વઘાર ઢોકળાં પર પાથરી દો. ઢોકળાંને ચોરસ ટુકડામાં કાપી એના પર કોથમીર ભભરાવી સજાવો. સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો.