હાલમાં કોરોના મહામારી ફેલાઈ ચૂકી છે ત્યારે સાથે જ ઠંડીની સીઝનમાં શરદી અને ખાંસીની તકલીફ ઘણી સામાન્ય હોય છે. જો સીઝનની સાથે સાથે તમે તમારા ખોરાકમાં પણ ફેરફાર લાવો છો તો તમે હેલ્ધી રહી શકો છો. જેમ તમે શિયાળામાં વિવિધ અને સીઝનલ વાનગીઓ આરોગો છો તેમ તમારે આ વિવિધ પ્રકારના સિરપ અને ઉકાળાને પણ અમુક સમયે લેતા રહેવું જોઇએ. તેમાં વપરાતા ગરમ મસાલા તમારા શરીરને રક્ષણ આપે છે અને સાથે તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આજે અહીં ઘરે જ બનાવી શકાય તેવા કેટલાક ખાસ ઉકાળાની રેસિપિ તમારા માટે લાવવામાં આવી છે.
સૂંઠ, કાળા મરી અને એલચી પાઉડરનો ઉકાળો
સામગ્રી
- અઢીસો મિલી લીટર પાણી
- અડધી ચમચી સૂંઠ
- ચારથી પાંચ કાળા મરી
- નાની એલચીનો પાઉડર
- એક ચમચી સાકર
- એક ચમચી તુલસીના પાનની પેસ્ટ
- બે ચમચી મધ
- થોડાક ટીપા લીંબૂના રસ
રીત
આ દરેક સામગ્રીને પાણીમાં નાખીને મિક્સ કરીને ધીમી આંચે તેને ઉકળવા દેવું. ઉકળી ગયા બાદ તેને ગાળી લેવું અને તેમાં બે ચમચી મધ અને થોડાક ટીપા લીંબૂના રસના ઉમેરવા અને તેને ઠંડું થવા મૂકવું. ત્યારબાદ આ તૈયાર સિરપને એક નાની બોટલમાં ભરી લેવું અને શરદીની તકલીફમાં સવાર-સાંજ એક-એક ચમચી પીવું.