ખજૂર શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. કાળી અને સાદી બંને ખજૂર હાલમાં સારી રીતે મળી રહે છે. આયર્ન અને હિમોગ્લોબિનથી ભરપૂર ખજૂર સ્વાસ્થ્યને માટે મોટો ફાયદો આપનારો બને છે. જો તમે સીધી ખજૂર ખાવાનું પસંદ ન કરતા હોવ તો તમે આ ખીર બનાવીને ખાઈ શકો છો. જાણો ખજૂરથી થતા ફાયદા અને નુકસાન પણ.
ખજૂરની ખીર
સામગ્રી
૧૦૦ ગ્રામ ખજૂર
500 ગ્રામ દૂધ
2 નંગ એલચી
મનપસંદ ડ્રાયફૂટ (બદામની કતરણ અને કાજુની કતરણ વધુ સારી લાગે છે)
રીત
(ખજૂરનું દૂધ અને ખીર બંનેમાં ઘણો તફાવત છે) કાળી અને સાદી બંને ખજૂરની ખીર બની શકે છે. માટે તમને પસંદ હોય તેવી ખજૂરનો ઉપયોગ કરો. સૌ પ્રથમ તેમાંથી ઠળિયા નીકાળી ખજૂરના નાના-નાના ટુકડા કરી લો. ટુકડા કરવા માટે મિક્સર નહીં, ચપ્પુનો ઉપયોગ કરો. હવે દૂધ ઉકાળવા મુકો. દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં ખજૂરના ટુકડા ઉમેરો. થોડું ગરમ દૂધ નાની વાટકી લઈ તેમાં ક્રશ કરેલી એલચી થોડી વાર પલાળી રાખો. દૂધને ખજૂર સાથે-સાથે ઉકાળો. દૂધને ચમચાથી સતત હલાવતા રહો. ખાસ ધ્યાન રાખવું કે દૂધ નીચે ચોટે નહીં. જો તેમ થશે તો ખીરનો સ્વાદ બિલકુલ બગડી જશે. દૂધ થોડું ઘટ્ટ થાય અને ખજૂર મિક્સ થવા લાગે એટલે દૂધમાં પલાળેલી એલચી તેમાં ઉમેરી દો. ખજૂર અને દૂધ એક રસ થઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારીને તેમાં ડ્રાયફૂટ ઉમેરી લો. ખજૂરની ખીર ગરમ અને ઠંડી બંને સારી લાગે છે.
ખજૂર ખાવાના ફાયદા
તાજા ખજૂર ખૂબ નરમ હોય છે. તે ખાવાથી ઝડપથી પચી પણ જાય છે. તેમાં ગ્લૂકોઝ હોય છે.
ખજૂરમાંથી પોટેશિયમ મળી રહે છે. તેને ખાવાથી શરીરનું બ્લડ પ્રેશર કાબુમાં રહે છે. ખજૂરના સેવનથી હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે.
ખજૂરમાં આયરનનો ભરપુર માત્રામાં મળે છે. જો શરીરમાં હિમોગ્લોબિનની ખામી હોય તો રોજ દૂધ સાથે ખજૂર ખાવો જોઈએ.
કબજિયાત ની સમસ્યા દૂર કરવા માટે પણ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં ફાયબરની માત્ર ભરપુર હોય છે. તેથી કબજિયાત અને પેટની સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે ખાલી પેટ ખજૂરનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.
ખજૂરમાં શુગર, પ્રોટીન તેમજ વિટામિન પણ હોય છે. તે આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની કમીને દૂર કરે છે. તેનાથી શરીરને પોષણ પણ મળે છે. માટે રોજ દૂધ સાથે ખજૂર ખાવો જોઈએ.
ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બાળકને થતી જન્મજાત બીમારીઓ દૂર થાય છે.
ખજૂરમાં વિટામિન-એ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી આંખ ની સમસ્યા થતી નથી. રતાંધણાપણું પણ ખજૂર ખાવાથી દૂર થાય છે.
ખજૂરને કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત ગણવામાં છે. તેના સેવનથી શરીરના હાડકા મજબૂત બને છે.
ખજૂર ખાવાથી થાય છે આ નુકસાન
ખજૂર ખાવાથી શરીરમાં બ્લડ શુગર વધે છે. માટે તેનું સેવન વધારે માત્રમાં ન કરવું જોઈએ.
જો તમારું વજન વધારે હોય તો ખજૂર ખાવાથી બચવું જોઈએ. તેનાથી શરીરનું વજન વધી શકે છે.
ખજૂરના સેવન ને કારણે ઘણી વખત ઝાડા પણ થઈ જાય છે.
ખજુર ખાવાથી ઘણા લોકોને એલર્જી પણ થતી હોય છે તો ડોક્ટરની યોગ્ય સલાહ અચૂક લેવી.