કોંગ્રેસમાં કોને ટિકિટ આપવી અને કોને ઘરે બેસાડવા તેની કવાયત એટલી ખેંચાઈ ગઈ કે, ગઈકાલે ઉમેદવારોની સત્તાવાર યાદી તો પ્રસિદ્ધ થઈ ન શકી
છેલ્લાં 15 વર્ષથી મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ દ્વારા કુલ 192 બેઠક પૈકી વિવાદ વગરની 38 બેઠકના ઉમેદવારની જાહેરાત ભાજપ પહેલાં પણ કરી દેવાઈ હતી. એટલે તે વખતે 'પંજા'એ યાદીના મામલે 'કમળ' કરતાં આગેકૂચ કરી હતી, પરંતુ લઘુમતી સમાજનું પ્રભુત્વ ધરાવતા વોર્ડ અને પૂર્વના વિસ્તારની કેટલીક માથાકૂટવાળી બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં પક્ષ હાઈકમાન્ડ ધારણા મુજબ જ ગૂંચવાઈ ગયું હતું. કોને ટિકિટ આપવી અને કોને ઘરે બેસાડવા તેની કવાયત એટલી ખેંચાઈ ગઈ કે, ગઈકાલે ઉમેદવારોની સત્તાવાર યાદી તો પ્રસિદ્ધ થઈ ન શકી. પરંતુ જે તે ઉમેદવારને અગાઉની ચૂંટણીની જેમ મોડી રાતે ફોન કરીને તૈયાર રહેવાની સૂચના અપાઈ હતી.
આજે સવારથી પ્રદેશ કાર્યાલય દ્વારા ઉમેદવારના મેન્ડેટ તૈયાર કરીને તંત્રને હાથોહાથ પહોંચાડાઈ રહ્યા છે. જ્યારે છેલ્લી ઘડીની મુંજવણના કારણે કોંગ્રેસની સત્તાવાર યાદી બપોરના 12 વાગ્યે પણ અટવાઈ જ ગઈ છે. જોકે કેટલાક ઉત્સાહી ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર પેનલ મૂકીને ઉમેદવારીપત્ર ભરવા જવાનો સમય પણ મતદારોને આપી દીધો હતો.
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગઈકાલે ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની કેટલીક બેઠકની યાદી જાહેર કરાતા અમદાવાદમાં પણ નેતાઓ અને કાર્યકરોમાં યાદીની સત્તાવાર જાહેરાતની ભારે ઉત્સુકતા જાગી હતી. જોકે રાજીવ ગાંધી ભવન ખાતે ધાંધલ-ધમાલની આશંકાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજે સવારથી જે નામો વહેતાં થયાં છે તેમાં એક પૂર્વ પ્રદેશ પ્રમુખની કૃપાદૃષ્ટિથી કોટ વિસ્તારના બે ધારાસભ્યનું રાજકીય કદ વધ્યું હોવાની ચર્ચા ઊઠી છે.
જોકે પરા વિસ્તારના એક ધારાસભ્યના ઘેર લઘુમતી સમાજના કેટલાક લોકોએ સરસપુર-રખિયાલ વોર્ડના ઉમેદવારના મામલે હોબાળો કરતાં વિવાદ સર્જાયો હતો. જ્યારે ગોમતીપુર વોર્ડમાં ટિકિટથી વંચિત રહેતા એક સીટિંગ કોર્પોરેટરે પક્ષનાં બેનરને સળગાવ્યાં હતાં તો જમાલપુર વોર્ડમાં પણ NSUI સાથે સંકળાયેલા એક સીટિંગ કોર્પોરેટર પણ કપાતાં તેમણે સ્થાનિક ધારાસભ્ય સાથે રોષમાં આવીને ગેરવર્તન કર્યું હોવાની પણ ચર્ચા ઊઠી છે.
દરમિયાન, પક્ષનાં સૂત્રો જણાવે છે કે દરિયાપુરમાં આખી પેનલ બદલાઈ છે અને સિટિંગ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષી ઉપરાંત માધુરી કલાપી, સમીરા શેખ અને એડ્વોકેટ ઇમ્તિયાઝ શેખને ટિકિટ અપાઈ છે. જમાલપુરમાં ઇકબાલ શેખને રિપિટ કરાયા છે તેમજ અનવર બિસોરા, દીના પરમાર અને અઝરા કાદરીને રિપિટ કરાયાં છે. બહેરામપુરામાં વિપક્ષના પૂર્વ નેતા કમળા ચાવડા, કમરુદ્દીન પઠાણ, અસ્મા રંગરેજ અને તસલીમ આઝમ તિરમિઝી, જ્યારે મક્તમપુરામાં હાજી અસરાર બેગ સહિતની આખી પેનલ જળવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.