'ત્રણ તબીબ હતા જેમાથી એક રજા પર, એકના લગ્ન હતા, એક તબીબે ગઈકાલે નોકરી કરી લીધી એટલે આજે નહતા આવ્યા'
વાંકાનેર સિવિલ હોસ્પિટલનો અંધેર વહીવટ
સિવિલ હોસ્પિટલમાં નથી કોઈ તબીબો
સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કરતા મળ્યા ઉડાઉ જવાબ
વાત કરીએ સરકારી હોસ્પિટલની તો તેના પ્રશ્નો સાવ અલગ છે. ક્યાંક તબીબો નથી, તબીબો છે તો સારવાર કરવા માટેના તેમની પાસે સાધનો નથી, સાધનો છે તો હોસ્પિટલ્સ અને દવાખાનાની ખસ્તા હાલત છે. નાની મોટી બિમારીઓને બાદ કરતા મોટી બિમારી આવી પડે તો આપણા ત્યાં આજે પણ મોટા શહેરો પર અને મોટા શહેરોના દવાખાના પર જ નિર્ભર રહેવું પડે છે. બહેતર આરોગ્ય અને બહેતર આરોગ્યની સુવિધા પૂરી પાડવી એ તો પાયાની જરૂરિયાત છે . જો પાયાની સુવિધા પૂરી પાડવામાં પણ આપણે ઉણા ઉતરીએ તો ક્યાં ઉભા છીએ આપણે - તે સવાલ ઉપસ્થિત થવાનો જ છે
મોરબીની વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં તબીબની ગેરહાજરીથી દર્દીઓને પરેશાની થઈ રહી છે. હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ હાજર સ્ટાફને આજીજી કરી રહ્યા છે પણ ડૉક્ટર ન હોવાથી અન્ય સ્ટાફ પણ પાંગળો થઈ ગયો છે. ઈમરજન્સી સારવારની જરૂરિયાત વાળા દર્દી પણ સુવિધાને અભાવે રઝળપાટ કરતાં જોવા મળ્યા.
સુપ્રિન્ટેન્ડન્ટે ઉપર જાણ કરીને માની લીધો સંતોષ
સમગ્ર હકીકત ત્યારે સામે આવી જ્યારે એક દર્દીના સગાએ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને એ આશાએ ફોન કર્યો કે અહી કઈંક મદદ મળશે પણ ત્યાં પણ દર્દીના સગાને સાવ ઉડાવ જવાબ દેવામાં આવ્યો. કહ્યું ત્રણ તબીબ હતા જેમાથી એક રજા પર, એકના લગ્ન હતા, એક એક તબીબે ગઈકાલે નોકરી કરી લીધી એટલે આજે નહતા આવ્યા. સુપ્રિન્ટેન્ડન્ટે વધુમાં સંતોષ માણતા કહ્યું કે મે ઉપર જાણ કરી દીધી છે હવે તમે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છે. રાજકોટ-ગાંધીનગર ફરિયાદ કરો તમમારે આવું કહી ફોન કાપી નાખ્યો હતો.
VTV ગુજરાતીના સળગતા સવાલ
તબીબોના લોભનો દર્દીઓ ક્યાં સુધી બનશે ભોગ?
સરકારી હોસ્પિટલની હાલત ક્યારે સુધરશે?
પ્રાઈવેટ હોસ્પિટલો ક્યાં સુધી દર્દીઓ પાસે કરશે વસૂલાત?
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં તબીબોની કેમ છે ગેરહાજરી?
સિવિલ હોસ્પિટલમાં તબીબો ન હોવાથી દર્દીઓ કેમ પરેશાન?
ધરતી પરના ઇશ્વરનો જેને દરજ્જો આપ્યો છે તે છે આપણા તબીબ. માણસજાતને આરોગ્યની જે તકલીફો થાય છે તે તકલીફોને દૂર કરવાનું પુણ્યકાર્ય જે કરે છે તે છે તબીબ. એટલે જ આપણા ત્યાં તબીબ પરનો વિશ્વાસ, આદર અને સન્માન સાવ નોખા અને વિશેષ હોય છે. હમણાં હમણાં જ આપણા પર આવી પડેલી મહામારી કોરોનામાં જ્યારે માણસ માણસથી સુરક્ષિત રહેવા દૂરી બનાવીને રહેવા મજબૂર બન્યો હતો ત્યારે આપણા આજ તબીબો હતા કે જેઓ આપણી સારવારમાં ખડેપગે ઉભા હતા અને પોતાનો જીવ તેમણે જોખમમાં મુકતા વિચાર સુધ્ધા કર્યો નહોતો. પણ જેમ સિક્કાની બે બાજુ હોય છે તેવું તબીબોમાં પણ જોવા મળે છે. ઉપરોક્ત ઘટના પણ સિક્કાની બીજી બાજુની વાસ્તવિકતા રજૂ કરે છે આપણે સિસ્ટમ સુધરવાની જરૂર છે.માત્ર વાતોના વડા કરવાથી દર્દીને પડતી હાલાકીઓ દૂર નહી થાય. હાલ તો ઓડિયો ક્લિપ વાયરલ થતાં સોશિયલ મીડિયામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ પર ઉડાઉ જવાબ માટે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે