ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે કહ્યું કે જો ઉત્તર પૂર્વી રાજ્યના 80 ટકા ઘરોમાં સ્વામી વિવેકાનંદની તસવીરો હોય તો ભાજપ સરકાર આગામી ત્રણ દાયકા સુધી અહીં સત્તા પર રહી શકે છે.
પાર્ટીના એકમ 'ભાજપ મહિલા મોરચા'ના સભ્યોને સંબોધન કરતી વખતે દેબે કાર્યકર્તાઓને રાજ્યના લોકોને પ્રોત્સાહિત કરવા સ્વયં વિવેકાનંદના સંદેશાઓ ફેલાવવા અને ફોટોગ્રાફ્સ વહેંચવા જણાવ્યું હતું.
"લોકોએ તેમના ઘરોમાં સામ્યવાદી નેતાઓની તસ્વીર લગાવે છે" : દેબ
દેબે કહ્યું, "મેં જોયું છે કે, મારા ગામમાં પણ લોકોએ તેમના ઘરોમાં સામ્યવાદી નેતાઓ જ્યોતિ બાસુ, જોસેફ સ્ટાલિન, માઓ ઝેડોંગની તસવીરો લગાવી છે. શું આપણે સ્વામી વિવેકાનંદની તસવીર ન મૂકી શકીએ? આપણી પાર્ટી આપણી વિચારધારાઓ અને મૂલ્યોનું સમર્થન કરશે. જો 80 ટકા ત્રિપુરાના ઘરોમાં સ્વામી વિવેકાનંદની તસવીરો હશે તો આ સરકાર આગામી 30-35 વર્ષ સુધી સત્તામાં રહી શકે છે."
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ઓછું બોલો, શાંત રહો
તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ઓછું બોલો, શાંત રહો અને કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વધુ બોલવાથી ઉર્જા નષ્ટ થઈ જાય છે. આથી આપણે આપણી ઉર્જા બરબાદ ન કરવી જોઈએ.
તેમણે મહિલા મોરચા કાર્યકર્તાઓને લોકોની વચ્ચે ભારતની સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે કહ્યું. આ પહેલા દેવે કોરોના વાયરસના દર્દીઓને માનસિક રીતે મજબૂત કરવા અને પ્રેરિત કરવા માટે સ્વામી વિવેકાનંદે લખેલ પુસ્તકો વહેંચ્યા હતા.