સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાએ મહેર કરતા આજથી શરુ થઇ રહેલા શ્રાવણી માસના તહેવારોમાં લોકોમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે , અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ 88 ટકા વરસાદ પડી ચૂક્યો છે અને લગભગ તમામ તાલુકા અછતમાંથી બહાર આવી ગયા છે, સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે.
આજે બોળચોથ નું પર્વ છે અને આવતીકાલે નાગપંચમીની સાથે જ સાતમ-આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્ર રંગાઈ જશે. એક અઠવાડિયા સુધી લોકો જન્માષ્ટમીના ઉત્સવમાં લીન બની જશે. સૌરાષ્ટ્રમાં કાલથી જ ઠેર ઠેર મેળાઓ ચાલુ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં દુષ્કાળ હોવાથી જન્માષ્ટમીના તહેવારનો રંગ ફિક્કો હતો પણ આ વખતે શ્રાવણ માસ અર્ધો વીત્યો છે ત્યાં સરેરાશ 88 ટકા વરસાદ થઇ ગયો છે. નદી નાળા, નાના - મોટા ડેમમાં પાણી હિલોળા લેતું હોવાથી લોકોમાં ખુશી છવાઈ છે.
સૌરાષ્ટ્રના સિંચાઈ વિભાગ હેઠળના 139 ડેમમાંથી 13 મોટા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. સારા વરસાદ ની અસર જન્માષ્ટમીના તહેવારો પર જોવા મળશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર નો શિરમોર એવો લોકમેળો તા, 22 મીથી શરુ થઇ રહ્યો છે.
રાજકોટ,સોમનાથ,દ્વારકા, સાસણ,જૂનાગઢ, વીરપુર,પોરબંદર સહિતના સ્થળોએ લોકોની ભારે ભીડ જામશે. સોમનાથ ભાવિકો ની ભીડ જામી રહી છે. નાગ પંચમીની પૂર્વ સંધ્યાએ એક શ્રદ્ધાળુએ 51 ગ્રામ સોનાનું ત્રિપુંડ સોમનાથ દાદાને આજે ચડાવ્યું હતું. સૌરાષ્ટ્ર જન્માષ્ટમીના ઉત્સવના રંગમાં રંગાવા થનગની રહ્યું છે.