ત્રિપલ તલાકનો વિરોધ કરનાર દળોને રાજ્યસભામાં વોટિંગ સમયે ગેરહાજર રહેવા પર કોંગ્રેસે સવાલ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે પાર્ટી બિલને સિલેક્ટમાં મોકલવા માગતી હતી જેના માટે વોટિંગ કરવામાં આવ્યું. પરંતુ તે દરમિયાન ત્રિપલ તલાક બિલનો વિરોધ કરનાર કેટલાય પક્ષોના સભ્યો સદનમાં ગેરહાજર રહ્યાં તેવામાં આ વિરોધનો શું મતલબ છે..?
કોંગ્રેસના પીઢ નેતા કપિલ સિબ્બલે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, અમે ઇચ્છચા હતા કે ત્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે, પરંતુ સરકારે વાત ન માની અને તેના પર મતદાન કરવામાં આવ્યું.
પરંતુ સવાલ તે લોકો પર છે જે મતદાન દરમિયાન સદનમાંથી ગાયબ હતા. જે લોકોએ સદનમાં ત્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો તે સદનમાં ગેરહાજર રહ્યા. જો તેમણે ગેરહાજર જ રહેવું હતું તો વિરોધ કરવાનો શું અર્થ..?
દિગ્ગજ નેતાઓ રહ્યા ગેરહાજર
ખરેખર, મુસ્લિમ મહિલાઓથી એક સાથે ત્રિપલ તલાકને ગુનો ગણાવનાર બિલને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું. આ બિલને કાયદો બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો બની જશે. અપર હાઉસમાં મુસ્લિમ મહિલા વિધેયકના પક્ષમાં 99 મત પડ્યા, જ્યારે 84 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કરેલ. પરંતુ મતદાન દરમિયાન શરદ પવાર, પ્રફુલ્લ પટેલ તથા રામ જેઠમલાણી હાજર રહ્યા નહોંતા.
મતદાન કરવા કરાયો હતો વ્હીપ જાહેર
ત્રણ તલાક બિલમાં સજાને લઈને જે જોગવાઈ નક્કી કરવામાં આવી છે, તેનો વિપક્ષો વિરોધ કરી રહ્યા છે. રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરાવવું ભાજપ માટે મોટો પડકાર હતો. ભાજપે તમામ સાંસદોને હાજર રહીને બિલના સમર્થનમાં મતદાન કરવા વ્હીપ જારી કર્યો હતો. આ અગાઉ રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરવામાં ભાજપને અસફળતા મળી હતી.
PM મોદીનું ટ્વીટ
લોકસભા બાદ હવે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પાસ થઇ ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તમામ પાર્ટીઓ અને સાંસદોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમામ પાર્ટીઓ અને સાંસદોને ધન્યવાદ પાઠવું છું જેમણે સંસદના બંન્ને સદનોમાં મુસ્લિમ મહિલાઓ વિધેયક-2019 પાસ કરાવવા માટે પોતાનું સમર્થન આપ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પગલું ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતા-બહેનોની જીત થઇ છે અને સન્માનથી જીવવાનો હક મળ્યો છે. સદીઓથી ત્રિપલ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક અવસર પર હું તમામ સાંસદોનો આભાર વ્યક્ત કરું છું.