ગત ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં અટકેલું ત્રિપલ તલાક બિલ આજે ફરી મોદી સરકાર 2.0માં લોકસભામાં રજૂ થયુ હતું. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે રજૂ કરેલું બિલ અંતે 303 મતના સમર્થન સાથે લોકસભામાં પસાર થઇ ગયું છે.
ત્રિપલ તલાક બિલ (Triple Talaq Bill) પર વિચારનો પ્રસ્તાવ વોટિંગ બાદ લોકસભામાં (Lok Sabha) બિલને વિચાર તરીકે રજૂ કરવાના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યાં. ત્રિપલ તલાક બિલને રજૂ કરવાનો પ્રસ્તાવ પસાર થઇ ગયો છે. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ઓવૈસી તરફથી લાવવામાં આવેલ સંશોધનને ગૃહે ધ્વનિમતથી રદ્દ કરી દીધું છે. એન કે પ્રેમચંદનના સંશોધન પ્રસ્તાવને પણ રદ્દ કરી દેવામાં આવેલ છે.
Lok Sabha passes The Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2019. pic.twitter.com/At2g6iwjan
ઉલ્લેખનીય છે કે સરકાર પહેલા પણ લોકસભામાં આ બિલ પાસ કરાવી ચૂકી છે. જ્યારે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થયું ન હોતું. વિપક્ષે આ બિલને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો તેમજ સિલેક્ટ કમિટી પાસે બિલ મોકલવાની પણ વિપક્ષે માંગ કરી હતી. જો કે વિપક્ષની માંગણી સરકારે ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે, સરકારે મે મહિનામાં પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ સંસદના પ્રથમ સત્રમાં સૌથી પહેલા આ બિલનો મુસદ્દો રજૂ કર્યો હતો. જો કે, કેટલાક વિપક્ષી દળોએ તેનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ સરકારનું કહેવું છે કે, આ વિધેયક લીંગ સમાનતા અને ન્યાયની દિશામાં એક કદમ ભરનારું હશે.
રવિશંકર પ્રસાદનું નિવેદનઃ
મહત્વનું છે કે ત્રિપલ તલાક બિલને લઇને લોકસભામાં ચર્ચા દરમિયાન કાયદામંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું કે, "આ ખરડો કોઇ ધર્મ કે મઝહબ સાથે નથી પરંતુ નારીની ગરિમા સાથે જોડાયેલો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂક્યું છે કે ત્રિપલ તલાકથી પીડિત મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવો જોઈએ." ઉપરાંત લોકસભામાં આ બીલને લઇને બીજી બાજુ કોંગ્રેસે યુપીએના તમામ સાથી પક્ષો સાથે મળીને વિરોધ કર્યો હતો.
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદનઃ
બીજી બાજુ લોકસભામાં ગુરૂવારના રોજ આજનાં દિવસે જ્યારે ત્રિપલ તલાક બિલ રજૂ થયું ત્યારે હૈદરાબાદથી સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ આ બિલનો વિરોધ કર્યો હતો અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. આ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, ઇસ્લામમાં લગ્ન એક કોન્ટ્રક્ટ પ્રકારે છે, તમે આને જન્મોજન્મનો સાથ ન બનાવો. ઓવૈસીએ કહ્યું કે, હું ત્રીજી વખત આ બિલ વિરૂદ્ધ ઉભો છું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ બિલનો વિરોધ કરતો રહીશ.
ત્રિપલ તલાકને આ સરકારે ગુનામાં નાખ્યું છે. તેવામાં ફરી મહિલાઓનું પાલન-પોષણ કોણ કરશે. બિલના વિરોધમાં ઓવૈસીએ કહ્યું કે આ મહિલા પર બોજ વધશે, કારણ કે જો પતિ જેલ ચાલ્યો જશે તો પછી મહિલાઓને પૈસા કોણ આપશે. વધુમાં તેમણે કહ્યું કે, માની લો કોઇ કોર્ટે ત્રિપલ તલાક આપનાર પુરૂષને ત્રણ વર્ષની સજા ફટકારી દે, તો પછી મહિલા ત્રણ વર્ષ સુધી તેની રાહમાં શા માટે બેઠી રહે? તેની સાથે જ ઓવૈસીએ કહ્યું કે શું મહિલા ત્રણ વર્ષ બાદ કહેશે...બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ.