પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. મજબૂત પાર્ટી બનાવવા તેમજ ચૂંટણીમાં પોતાનું પ્રતિનિધત્વ જમાવવા માટે પાર્ટીના આગેવાનો મેદાને આવ્યા છે. પંજાબમાં આપ આવ્યુ તો અન્ય 4 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસ જીતની રેસમાં ક્યાંય પાછળ જોવા મળ્યું. ત્યારે હવે ગુજરાતમાં પણ ચૂંટણીને લઇને દમદાર દાવેદારી નોંધાવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં ત્રિપાખિયો જંગ
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામના બે દિવસમાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ અત્યારથી ચૂંટણીને લઇને મેદાને આવી ગઇ છે. 13 માર્ચે સીઆર પાટીલ રાજકોટમાં હિંદુ સંમેલનમાં ઉપસ્થિત રહેનાર છે. તો આજે દિલ્હી AAPના બે ધારાસભ્યોએ રાજકોટમાં ધામા નાંખ્યા છે. પંજાબમાં જીતને પગલે રાજકોટમાં તિરંગા યાત્રઆ કાઢવામાં આવનાર છે જેમાં ભાજપના કાર્યકરો AAPમાં જોડાય તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યા છે. તો આ તરફ કોંગ્રેસમાં પણ પરેશ ધાનાણીની હાજરીમાં સભ્ય નોંધણીની બેઠક મળશે. આથી આમ સૌરાષ્ટ્રમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયા જંગ નિશ્ચિત છે.
સૌરાષ્ટ્રમાં ભાજપે મિશન વેલકમ
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય તેમ પક્ષ પલટાનો દોરશરુ થઇ જતો હોય છે ત્યારે હવે ભાજપે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓને વેલકમ કરવા માટે મિશન શરુ કર્યુ છે. કોંગ્રેસના અગ્રણીઓ અને ધારાસભ્યના નામ પર બેચમાર્ક રેડી કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ, જામનગર અને રાજકોટના કોંગ્રેસના ધારાસભ્યો રડારમાં છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, દ્વારકાના કોંગ્રેસના ધારાસભ્યો પણ ભાજપની નજરમાં છે.
પક્ષપલટાની મોસમ થશે શરુ
પાંચ રાજ્યોના પરિણામ જોતા હવે કોંગ્રેસ, ભાજપ અને આપ સહિત અનેક રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે. હવે તો રાજકીય પાર્ટીઓમાં રીતસરની ખેંચમતાણી શરુ થશે. ન માત્ર ભાજપ પરંતુ અન્ય રાજકીય પક્ષોએ પણ ભરતી માટે તૈયારીઓ શરુ કરી છે. મોટા ગજાના સામાજિક અગ્રણીઓ રાજકીય પક્ષોમાાં જોડાઇ શકે છે.