પ્રધાનમંત્રી મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. હવે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે રાત દિવસ તિરંગો ફરકાવી શકશે. કારણ કે કેન્દ્રની મોદી સરકાર સ્વતંત્રતા દિવસ પહેલા 'હર ઘર તિરંગા સમારંભ' (Har Ghar Tiranga Campaign)થી તિરંગો ફરકાવાના નિયમોમાં મહત્વના ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનતાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની મંજૂરી હતી.
2 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી તિરંગાનું વેચાણ
ત્યારે આ તરફ સુરત મહાનગર પાલિકાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમને લઈને વિશેષ તૈયારી કરી લીધી છે.2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સુરત મહાનગર પાલિકા તિરંગાનું વેચાણ કરશે.ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાનું અભિયાન સફળ રહે તે માટે સુરત મહાનગર પાલિકાએ ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. તમામ ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ અને નાગરિક સુવિધા કેન્દ્ર પરથી તિરંગા મળી રહેશે..સુરત મહાનગર પાલિકા 25 અને 18 રૂપિયાના દરે લોકોને તિરંગા વેચશે.
સુરતમાં 6 લાખ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ટાર્ગેટ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરતમાં 15મી ઓગસ્ટના દિવસે 6 લાખ રાષ્ટ્રધ્વજ ફરકાવવા ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 11થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શહેરના વધુને વધુ લોકો ઘરે તિરંગો ફરકાવે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઝોન, વોર્ડ, ઓફિસ અને સિવિક સેન્ટરમાંથી ધ્વજનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકારે શહેર દીઠ રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ આપ્યો છે. જેને લઇ રાજ્યના રમત ગમત વિભાગ સુરત મહાનગરપાલિકાને 6 લાખ રાષ્ટ્રધ્વજ આપશે.
સુરતને 1 કરોડ તિરંગા બનાવવાનો ઓર્ડર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ વખતનો સ્વતંત્રતા દિવસ કઈક ખાસ અંદાજમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર 'હર ઘર તિરંગા' મુહિમ શરૂ કરવાની યોજના બનાવી છે. આ અભિયાન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલા અનેક કાર્યક્રમોમાંનું એક છે.13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે સૌ કોઇ પોતાના ઘર પર તિરંગો લહેરાવે તેમ પીએમ મોદીએ દેશવાસીઓને જણાવ્યું હતું. જેને લઇને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતને 1 કરોડ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. તિરંગો બનાવવા માટે સ્પેશિયલ 80gsmનું કાપડ બનાવવામાં આવ્યુ છે. રેગ્યુલર કરતા અલગ કપડુ બનાવવામાં આવ્યુ છે. જેપનીઝ મશીનમાં તિરંગો પ્રિન્ટ કરવામાં આવ્યો છે. 20*30ની સાઇઝમાં તિરંગો બનાવવામાં આવ્યો છે.