ઉમિયા સર્કલ પર 108 ફૂટ ઉંચા સ્તંભ પર લહેરાશે તિરંગો
પ્રધાનમંત્રી મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. હવે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે રાત દિવસ તિરંગો ફરકાવી શકશે. કારણ કે કેન્દ્રની મોદી સરકાર સ્વતંત્રતા દિવસ પહેલા 'હર ઘર તિરંગા સમારંભ' (Har Ghar Tiranga Campaign)થી તિરંગો ફરકાવાના નિયમોમાં મહત્વના ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનતાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની મંજૂરી હતી. ત્યારે હવે આ અભિયાનને લઇને મોરબીમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
મોરબીમાં તિરંગો ફરકાવવા તૈયારીઓનો ધમધમાટ
મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ પર 108 ફૂટ ઉંચા સ્તંભ પર તિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાનમાં યોગદાન આપવાનું મોરબી પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર 108 ફૂટ ઊંચા સ્તંભ પર પોલિસ્ટરનો 20 /30 ફુટનો તિરંગો હંમેશા લહેરાતો રહે તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
10 લાખના ખર્ચે સ્તંભ ઉભો કરવાની કામગીરી
હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગો લહેરાવી શકાય તે માટે સ્તંભ ઉભો કરવા માટેની કન્સ્ટ્રક્શનની કામગીરી તેજ ગતિએ કરવામાં આવી રહી છે.મોરબીના ઉમિયા સર્કલ પર રાષ્ટ્રીય એકતા અને ઉન્નતિના પ્રતીક સમો તિરંગો હર હંમેશ લહેરાતો રહે અને લોકોમાં દેશભક્તિની ભાવનાને ઉજજ્વલિત કરતો રહે તે માટે દસ લાખના ખર્ચે સ્તંભ ઉભો કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. આ સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવાની સાથે સર્કલ પર નયનરમ્ય લાઇટિંગ પણ લગાવવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના ઘર ઘર પર તિરંગો લહેરાય, લોકોમાં તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના વધુને વધુ પ્રદર્શિત થાય ઉપરાંત દેશના દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તેવું આયોજન સમગ્ર રાષ્ટ્રમાં કરવામાં આવનાર છે.