ચૂંટણી સુધી યોજાનાર આદિવાસી અધિકાર સત્યાગ્રહ યાત્રાની રાહુલ ગાંધી દાહોદથી શરૂઆત કરાવશે
રાહુલ ગાંધી આવશે ગુજરાત
10 મેના રોજ કાર્યક્રમમાં આપશે હાજરી
આદિવાસી અધિકાર સત્યાગ્રહની કરાવશે શરૂઆત
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીનો ફરી ગુજરાત મુલાકાત અંગેનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉ ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવનાર હતા જે મોકૂફ રહ્યા બાદ ફરી આયોજન થયું છે. તેઓ આગામી તા. 10મીના રોજ ગુજરાતના દાહોદ ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજરી આપશે.
આદિવાસી અધિકાર સત્યાગ્રહની તડામાર તૈયારીઓ
કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. ત્યારે મળતી માહિતી અનુસાર આ તકે તેઓ દાહોદ ખાતે તા. 10મીના રોજ યોજાનાર આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. વધૂમા સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે. આ આદિવાસી અધિકાર સત્યાગ્રહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ કોંગી આગેવાનો કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારી રહ્યા છે.
કોઈ કારણસર અગાઉ કાર્યક્રમ પાછો ઠેલાયો હતો
મહત્વનું છે કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પૂરી તૈયારીમાં જોતરાઈ ગયું છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતાઓ સાથે મુલાકાત કરી ચૂંટણીની સમીક્ષા કરશે. આગેવાનો સાથે આગામી ચુંટણીમાં ભાજપ સાથે કઇ રીતે ટક્કર આપી મેદાનમાં ઉતરી શકાય તે અંગે ચર્ચા વિચારણા અને યોજના અમલમાં મુકવામાં આવશે. મહત્વનું છે કે આ કાર્યક્રમ તા.1 ના યોજાવાનો હતો પરંતુ કોઈ કારણસર પાછો ઠેલવામાં આવ્યો હતો.