વલસાડ જિલ્લાના ધરમપુરમાં આજે આદિવાસી સમાજની મહારેલી યોજાઈ હતી. દેશભરમાં જંગલમાં વસતા આદિવાસીઓ ને જંગલમાંથી બહાર કાઢવા સુપ્રીમકોર્ટના આદેશના વિરોધ મામલે યોજાયેલી આ રેલીની આગેવાની વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે લીધી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા.
જો કે રેલીને પરવાનગી નહીં આપી હોવાથી પોલીસે ધરમપુરના બીરસા મુંડા સર્કલ પર રેલીને અટકાવતા મામલો બિચક્યો હતો અને પોલીસ અને આદિવાસી સમાજના આગેવાનો અને લોકો વચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. વધુમાં રેલી પહેલા જ કેટલાક આદિવાસી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. આથી અટકાયત કરેલા આદિવાસી આગેવાનોને છોડાવવાની લોકોએ પોલીસ સમક્ષ માંગ કરી હતી, પરંતુ લોકોને યોગ્ય પ્રત્યુતર નહીં મળતાં લોકો રોષે ભરાયા હતા અને પોલીસ સમક્ષ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા માહોલ ગરમાયો હતો.
રોષે ભરાયેલા લોકો રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યું હતું અને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાની જીદ કરી હતી. જો કે આ સમયે રેલીને કોંગ્રેસે પણ સમર્થન કરીને કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, સહિતના આગેવાનો પણ જોડાતા લોકોમાં ઉત્સાહ વધ્યો હતો.
આખરે પરિસ્થિતિ પારખી પોલીસે રેલીને આગળ વધવા દીધી હતી. કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જંગી રેલી ધરમપુરના જાહેર માર્ગો પર ફરીને મામલતદાર કચેરી પહોંચી હતી. જ્યાં આદિવાસી આગેવાનો અને કોંગ્રેસી આગેવાનો મળીને આદિવાસી સમાજની માંગો સાથે નું આવેદનપત્ર આપ્યું હતું.
જંગલોમાંથી આદિવાસીઓને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી હતી. આખરે શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થઈ હતી, પરંતુ રેલીને નિષ્ફળ બનાવવા માટે પોલીસે આદિવાસી આગેવાનોની કરેલી અટકાયત મામલે અગ્રણીઓએ રોષ વ્યકત કર્યો હતો.