નળસરોવરમાં શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં પક્ષીઓ આવે છે તો કેમ 60થી 70 વર્ષ જૂના વૃક્ષોનું વિકાસના નામે નિકંદન
અમદાવાદના સાણંદમાં વિકાસના નામે ઉલ્ટી ગંગા
સાણંદ નળ સરોવર રોડ પર વિકાસના નામે પ્રકૃતિનો વિનાશ
વૃક્ષોનું નિકંદન અટકાવવા સ્થાનિક લોકોની ઉગ્ર માગ
અમદાવાદના સાણંદમાં વિકાસના નામે ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. સાણંદ નળ સરોવર રોડ પર વિકાસના નામે પ્રકૃતિનો નાશ કરવાની શરૂઆત કરાઈ છે. પ્રશાસન દ્વારા એક તરફ 10 લાખ વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરાઈ છે અને વનમહોત્સવની ઉજવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.
વિકાસના નામે સાણંદમાં ઘટાદાર વૃક્ષોનું નિકંદન
બીજી તરફ સાણંદ–નળસરોવર રોડ ઉપર વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષોનો ખાત્મો બોલાવવાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સાણંદ થી નળસરોવરનો રોડ પહોળો કરવા માટે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. નળસરોવર રોડના 1250 મીટરના વિસ્તારમાં 327 વૃક્ષ કપાશે અને આ માટે વન વિભાગની સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે. સાણંદથી ગોરજ વચ્ચે 6 કિમીના વિસ્તારમાં જ વર્ષો જૂના સાતસોથી પણ વધારે ઘટાદાર વૃક્ષો આવેલા છે. અને હાલ આ વૃક્ષોને કાપવાની શરૂઆત કરવામાં આવી છે.વૃક્ષો વાવોના કાર્યક્રમ પાછળ કરોડો રૂપિયાના ધુમાડો કરવામાં આવે છે પણ સાણંદ તંત્રને અહી વિકાસના બહાને વૃક્ષો કાપવામા જ રસ છે. પણ એ વાતથી અજાણ છે કે નળસરોવરમાં શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં પક્ષીઓ આવે છે અને આ જ વૃક્ષો પર આસરો લે છે.
તંત્રની કામગીરી સામે અનેક સવાલ
ત્યારે આ વૃક્ષોનું નિકંદન અટકાવાય એવી સ્થાનિકોએ ઉગ્ર માગણી કરી છે. અને કહી રહ્યા છે સવા કિલોમીટરના રસ્તા માટે 327 વૃક્ષ કપાશે. ત્યારે મહત્વનું છે કે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ અહીથી ખૂબ નજીક છે શિયાળના સમયમાં લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઑ આ વૃક્ષો પર શરણ લે છે ત્યારે વનપ્રેમીઑ આરોપ કરી રહ્યા છે કે રોડ પહોળો કરવાને બહાને પક્ષીઓના ઘર પર કટર ફેરવામાં આવી રહ્યું છે તમામ વૃક્ષો 60 થી 70 વર્ષ જૂના છે છતાંય ઘટાદાર વૃક્ષોને હટાવવાનુ કામ માર્ગ-મકાન વિભાગ દ્વારા શરૂ કરાયું છે.