જંગલોમાં મનુષ્યોની ઘૂસણખોરી પછી અગાઉથી જ વૃક્ષોની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી, પરંતુ તેમાં હવે બીજું એક નકારાત્મક પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે. હવે વાતાવરણ બદલાઈ રહ્યું છે. દુનિયાભરના જંગલોમાં વૃક્ષોની લંબાઈ ટૂંકી થઈ રહી છે અને ઉંમર પણ ઘટી રહી છે.
તાપમાન અને કાર્બન ડાયોક્સાઇડ સતત વધી રહ્યું હોવાથી આ પરિવર્તનો પણ થઈ રહ્યાં છે. જોકે, તેની શરૂઆત એક દાયકા પહેલા થઈ ચૂકી છે. અમેરિકાની પેસિફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરી દ્વારા આ રિસર્ચ દુનિયાભરનાં જંગલો પર કરવામાં આવ્યું છે. રિસર્ચમાં જણાવ્યા અનુસાર, હવે વિશ્વનાં જંગલો અને પર્યાવરણ બદલાઇ રહ્યા છે. જંગલોમાં દાવાનળ, દુષ્કાળ, તીવ્ર ઝડપી પવનને લીધે થતાં નુકસાન જંગલોનું આયુષ્ય ઘટાડી રહ્યા છે અને તેના કારણે પર્યાવરણનું સંતુલન પણ બગડતું જાય છે.
જળ વાયુ પરિવર્તન સાથે આ ફેરફાર વધી રહ્યો છે
આ રિસર્ચના મુખ્ય સંશોધક મેકડોવેલનું કહેવું છે કે, જળવાયુ પરિવર્તન સાથે આ ફેરફાર વધી રહ્યો છે. નવાં જંગલ કરતાં જૂનાં જંગલોમાં વિવિધતા છે અને તેઓ વધુ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે, પરંતુ તેમની પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં આપણે જે વૃક્ષ વાવીશું તેના કરતાં જૂનાં જંગલો મોટાં પ્રમાણમાં બદલાઈ જશે. જળ વાયુ પરિવર્તનને અટકાવવા માટેના બે જ મોટા મંત્ર છે-કાર્બન શોષણ અને જૈવવિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી.
આ પરિવર્તન એ માનવજાતની બેદરકારીનું પરિણામ
જંગલોમાં દેખાતાં આ પરિવર્તન એ માનવજાતની બેદરકારીનું જ પરિણામ છે. સંશોધકોએ સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરીને વિશ્લેષણ કર્યું છે કે, આ પરિવર્તન છેલ્લા એક દાયકાથી થઈ રહ્યું છે. તે આખું વાતાવરણ બદલી રહ્યું છે. સંશોધનકારોએ આ માટે બે મોટાં કારણો આપ્યાં છે.
પ્રથમ જંગલોમાં મનુષ્યની વધતી દખલગીરી અને બીજી કુદરતી આફતો જેવી કે આગ, જીવાતો અને ઝાડમાં ફેલાતા રોગો. ઝડપથી કપાતાં વૃક્ષો ત્રણ રીતે અસર કરે છે, પ્રથમ- અહીં લોકોની સંખ્યા વધે છે, બીજું-કાર્બનનું પ્રમાણ વધે છે અને ત્રીજું વૃક્ષો ઓછાં થવાં લાગે છે.