ઈરાનનું કહેવું છે કે તમે અમેરિકાની ચિંતા કર્યા વગર રશિયાથી ઓઇલ લઈ શકો છો તો અમારા પાસેથી પણ ખરીદો
રશિયા પર અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે રશિયન માર્કેટમાંથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું
હવે ઈરાન પણ ભારત સાથે ફરી એકવાર બંધ ઓઈલ સપ્લાય શરૂ કરવા માંગે છે
વેપારમાં અમેરિકી પ્રતિબંધોની ચિંતા કરવી ન જોઈએ: ઈરાન
યુક્રેન સાથેના યુદ્ધ બાદ રશિયા પર અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે રશિયન માર્કેટમાંથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. આવી સ્થિતિમાં ઈરાન વર્ષ 2019થી ભારત અને ઈરાન વચ્ચે ફરી એકવાર બંધ ઓઈલ સપ્લાય શરૂ કરવા માંગે છે. ઈરાનનું કહેવું છે કે, જે રીતે ભારત રશિયાના મામલામાં અમેરિકી દબાણની અવગણના કરી રહ્યું છે તે જ રીતે તેણે તેની સાથે વેપારમાં અમેરિકી પ્રતિબંધોની ચિંતા કરવી ન જોઈએ.
એક રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે ચર્ચા કરી શકે છે. 15-16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનમાં યોજાનારી SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન)ની બેઠક દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે અને તેના વિશે ચર્ચા કરી શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ SCO કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે.
મહત્વનું છે કે, તાજેતરમાં જ ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત વખતે તેલની ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉ જૂનમાં જ્યારે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર ભારતની મુલાકાતે હતા ત્યારે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સાથેની મુલાકાત દરમ્યાન પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.
ઈરાની રાજદૂતે કહ્યું હતું કે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે અમારી પાસે કોઈ સીમા, પ્રતિબંધ અને અવરોધો નથી. તેમણે કહ્યું કે અમે પહેલો એવો દેશ છીએ જેણે ભારતમાં તેલની નિકાસ ડોલરમાં નહીં પરંતુ રૂપિયાના ચલણમાં કરી હતી અને ભારત અમારી પાસેથી સતત તેલ ખરીદે છે. અન્ય વસ્તુઓ માટે પણ અમે રૂપિયામાં વેપાર કર્યો છે. આ સાથે ઈરાની રાજદૂતે એવો પણ દાવો કર્યો હતો કે, જો ભારતે તેલની આયાત બંધ ન કરી હોત તો ઈરાન અને ભારત વચ્ચેનો વેપાર જે વર્ષ 2018-19માં 17 અબજ ડોલર સુધી થઈ રહ્યો હતો તે 30 થી 35 અબજ ડોલર સુધી પહોંચી ગયો હોત.
ભારતે ઈરાનથી તેલનો પુરવઠો ક્યારે બંધ કર્યો ?
વર્ષ 2019માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા હતા. જે બાદ ભારતે પણ ઈરાન પાસેથી તેલની ખરીદી બંધ કરી દીધી હતી. ત્યારે ઈરાને ભારતના આ નિર્ણયને અમેરિકાના દબાણમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો પહેલા, ભારત તેનો બીજો સૌથી મોટો તેલ ખરીદનાર હતો, જ્યારે ચીન હજુ પણ ઈરાનનું સૌથી મોટું તેલ ખરીદનાર છે. તે સમયે ઈરાને તેલનો પુરવઠો રોકવાને લઈને ઘણી નારાજગી દર્શાવી હતી. ઈરાનના તત્કાલિન વિદેશ મંત્રી જાવેદ ઝરીફે કહ્યું હતું કે, ભારતે અમેરિકી પ્રતિબંધોના દબાણનો વધુ મજબૂતીથી પ્રતિકાર કરવો જોઈતો હતો. ઈરાને તે સમયે કહ્યું હતું કે, અમેરિકા ભારતને પરેશાન કરી રહ્યું છે અને તેને અમારી પાસેથી તેલ ખરીદવાની મંજૂરી નથી આપી રહ્યું.