નવી દિલ્હીઃ રેલવે વિભાગ દ્વારા એક અનોખો નિર્ણય લેવાયો છે. હવે ટ્રેનમાં યાત્રા દરમિયાન ઓળખપત્રની ઝેરોક્ષ નહીં હોય તો સોફ્ટ કોપીને પણ રેલવે માન્ય રાખશે. જેથી હવે ઓળખપત્ર ગુમ થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.
રેલવે વિભાગના જણાવ્યા મુજબ હવે યાત્રિકોના આધારકાર્ડ લાઈસન્સની સોફ્ટ કોપી પણ માન્ય રાખવામાં આવશે. પરંતુ તેમાં એક શરત એ છે કે આ ડોક્યુમેન્ટ ડીજીલોકરમાં સેવા હોવા જરૂરી છે. ડીજીલોકર સરકાર દ્વારા સંચાલિત ડીજીટલ સ્ટોરેજ સેવા છે. જેમાં ભારતીય નાગરિક ક્લાઉડ પર પોતાના કેટલાંક દસ્તાવેજ સ્ટોર કરી શકે છે.
જેના અનુસંધાને રેલવે વિભાગે પોતાની દરેક ઝોનલ ઓફિસને પણ સૂચના આપી દીધી છે કે આ સેવા માટે આધારકાર્ડ અને લાયસન્સને ઓળખપત્ર તરીકે સ્વીકાર કરવામાં આવે.
આદેશમાં એવું જણાવ્યું છે કે જો કોઈ યાત્રી પોતાના ડીજીલોકર એકાઉન્ટમાં લોગઈન કરીને આ દસ્તાવેજને પુરાવા તરીકે રજૂ કરી શકે છે. જેને રેલવે દ્વારા માન્ય રાખવામાં આવશે.
જો કે આદેશમાં એવું પણ સ્પષ્ટ જણાવ્યું છે કે યાત્રીએ પોતે અપલોડ કરેલા દસ્તાવેજ કે જે અપલોડ ડોક્યુમેન્ટ સેક્શનમાં હોય છે તેને માન્ય રાખવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત હાલ ડીજીલોકરમાં ડીજીટલ લાયસન્સ અને આધારકાર્ડ સ્ટોર કરી શકાય છે.