કેરળનાં ૧,૨૪૮ મંદિરોનું મેનેજમેન્ટ કરનારા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ પોતાની આવક વધારવા માટે મંદિરોનું લગભગ ૧,૨૦૦ કિલો સોનું આરબીઆઇ પાસે રાખવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી બોર્ડને દર વર્ષે લગભગ ૧૩.૫ કરોડની આવક થશે. આ સોનું હાલમાં મંદિરોનાં આભૂષણ અને વાસણના રૂપમાં છે. આ ઉપરાંત તિરુમાલા તિરુપતિ દેવસ્થાને ગત સોમવારે હૂંડીના સ્વરૂપે ૨૫.૭ લાખનું દાન પ્રાપ્ત કર્યું હતું. ૮૩ દિવસના લોકડાઉન બાદ મંદિરને ૮ જૂનના રોજ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યું હતું.
કેરળનું ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ આ સોનાને ગાળીને ઠોસ સોનામાં બદલી દેશે. અનુમાન છે કે આ સોનાની કિંમત લગભગ ૫૪૦ કરોડ રૂપિયા છે. ત્રાવણકોર બોર્ડના અધિકાર ક્ષેત્રમાં પદ્મનાભમ સ્વામી, સબરીમાલા અને ગુરુવાયુર જેવાં મોટાં મંદિર આવે છે. કેરળનાં આ મંદિરો પાસે ખૂબ જ જૂનાં અને ઐતિહાસિક આભૂષણ પણ છે.
૨૮ મુખ્ય મંદિરોમાં ઓનલાઇન દર્શન અને સેવાની વ્યવસ્થા પણ કરી રહ્યું છે
બોર્ડ આ પ્રાચીન મહત્ત્વ ધરાવતાં આભૂષણને અલગ જ રાખશે. આ આભૂષણની કિંમત પણ કરોડોમાં છે અને આ પ્રાચીન ઘરેણાં ઉત્સવમાં ઉપયોગમાં આવે છે. આ યોજનામાં માત્ર તે ઘરેણાં અને વાસણનો ઉપયોગ થશે, જે થોડાં વર્ષથી મંદિરોને દાનમાં મળ્યાં છે, સાથે જ બોર્ડ ૨૮ મુખ્ય મંદિરોમાં ઓનલાઇન દર્શન અને સેવાની વ્યવસ્થા પણ કરી રહ્યું છે, જેનાથી મંદિરોની આવકમાં વધારો થશે.
આ પહેલાં તાંબાના દીવા અને વાસણની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો
આ પહેલાં ત્રાવણકોર બોર્ડે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે મંદિરમાં રાખેલા સેંકડો ટન તાંબાના દીવા અને વાસણની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો, જોકે ત્યાર બાદ વિવાદ ઊભો થયો અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણયને પાછો ખેંચી લીધો. કોરોના વાઇરસ અને લોકડાઉનના કારણે મોટા ભાગનાં મંદિરોમાં દાનની રકમ ઓછી થઇ ગઇ છે એવામાં મંદિરોએ પોતાના રોજિંદા ખર્ચ અને પૂજારીઓની આવકનો ખર્ચ કાઢવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે હવે સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. માત્ર સબરીમાલા મંદિરને ઓનલાઇન દરમિયાન ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે.
દર મહિને ત્રણથી પાંચ કરોડ રૂપિયાનું દાન આવતું હતું
પદ્મનાભમ મંદિરમાં દર મહિને ત્રણથી પાંચ કરોડ રૂપિયાનું દાન આવતું હતું, જે લોકડાઉનમાં માત્ર ૭.૫ લાખ રૂપિયા થઇ ગયું છે. આ રીતે ગુરુવાયુર મંદિરમાં પણ માસિક પાંચ કરોડની સામે ૫-૭ લાખની આવક થઇ છે. ત્રાવણકોર બોર્ડમાં લગભગ ૬,૫૦૦ કર્મચારીઓ છે, જેમાં મંદિરોના પૂજારીઓ પણ સામેલ છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાને ૨૫.૭ લાખનું દાન પ્રાપ્ત કર્યું
તિરુમાલા તિરુપતિ દેવસ્થાને ગત સોમવારે હૂંડીના સ્વરૂપે ૨૫.૭ લાખનું દાન પ્રાપ્ત કર્યું હતું. ૮૩ દિવસના લોકડાઉન બાદ મંદિરને ૮ જૂનના રોજ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યું હતું. શરૂઆતના ત્રણ દિવસમાં માત્ર કર્મચારીઓ અને સ્થાનિક લોકો માટે દર્શન ખોલવામાં આવ્યાં છે. ત્યારબાદ ૧૧ જૂનથી સામાન્ય નાગરિકો માટે મંદિરનાં દ્વાર ખોલવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓ ભગવાન બાલાજીનાં દર્શન કરી શકશે.
મંગળવાર સાંજ સુધીમાં નવ હજાર ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનને ખોલવાની જાહેરાત થતાંની સાથે જ પહેલા દિવસે કાઉન્ટર પર ટિકિટ ખરીદી માટે લાંબી લાઈનો જોવા માટે મળી હતી. પહેલા દિવસે રાજ્યભરના શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા.સવારના ૮.૦૦ વાગ્યાથી ટિકિટનું વેચાણ રાજ્યે દરેક કાઉન્ટર પર શરૂ કરી દીધું હતું. ૧૧ જૂનની ટિકિટોનું થોડાક જ કલાકોમાં વેચાણ થઈ જવાથી આંધ્રપ્રદેશ સરકારે ૧૨ જૂનની પણ વેચવાનો નિર્ણય કર્યો હતો. મંદિરના વહીવટીતંત્ર અનુસાર મંગળવાર સાંજ સુધીમાં નવ હજાર ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું હતું.
દરેક શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવાં પડશે. મંદિર પરિસરને સ્પર્શમુક્ત પિરસર બનાવાયું છે, જ્યારે તીર્થયાત્રીઓ લાઈનમાં આવશે ત્યારે તેમણે કોઈ પણ વસ્તુઓને અડવાની જરૂર નથી.