પરિવહન મંત્રાલયે ભારે વાહનચાલકો માટે ફરજિયાત શૈક્ષણિક યોગ્યતાની શરત હટાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી બસ-ટ્રક જેવા ભારે વાહનચાલકોને લાઇસન્સ આઠમું ધોરણ પાસ થવા પર જ મળતુ હતું. મંત્રાલયે આને એક અડચણ માનતા આ ફરજિયાત જોગવાઇ હટાવવાનો નિર્ણય કર્યો છે.
ન્યૂ દિલ્હીઃ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટ્રક અને બસ ડ્રાઇવરો માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાતનાં નિર્ણયને હટાવવાનો નિર્ણય કર્યો છે. ભારે વાહનોને ચલાવવા માટે અત્યાર સુધી આઠમું ધોરણ પાસ હોવું ફરજિયાત છે. આ પહેલા કાયદાકીય મંત્રાલયે આ પ્રકારનાં પ્રસ્તાવને ખારીજ કરી દીધો હતો. જો કે, ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ ફરજિયાત શૈક્ષણિક યોગ્યતાવાળી શરતને હટાવવાનાં નિર્ણય પર વિચાર કરી રહેલ છે.
માર્ગ દુર્ઘટનાનાં આંકડાઓ બાદ લેવામાં આવ્યો આ નિર્ણયઃ
2016માં ભારતમાં 4.8 લાખ માર્ગ દુર્ઘટના થઇ હતી જેમાંથી 3.35 લાખ માર્ગ દુર્ઘટનામાં શામેલ ડ્રાઇવર આઠમું પાસ અથવા તો તેનાંથી વધારે શિક્ષિત હતાં. ટ્રાન્સપોર્ટ મંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યું કે, 'અમારી પાસે એવાં કોઇ જ ડેટા નથી કે જેનાંથી અમે સાબિત કરી શકીએ કે અશિક્ષિત ડ્રાઇવરોને કારણ વધારે દુર્ઘટના થાય છે.' વિભાગનાં અધિકારીઓનું કહેવું એમ છે કે ડ્રાઇવરની નોકરી માટે આઠમું ધોરણ પાસ હોવું એ એક પ્રકારની અડચણ છે.
ફરજિયાત શૈક્ષણિક યોગ્યતા નોકરી માટે બાધારૂપઃ
પરિવહન વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ધોરણ 8 અથવા તો તેનાંથી વધારાની શૈક્ષણિક યોગ્યતા ડ્રાઇવરની નોકરી માટે બાધાની જેમ છે. આ અનિવાર્ય જોગવાઇને મોટર વ્હીકલ કાયદામાં ફેરફારને આધારે ખતમ કરી શકાય છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, હરિયાણાનાં સીએમ મનોહરલાલ ખટ્ટરે પરિવહન મંત્રી નીતિન ગડકરીની સાથે થયેલી મીટિંગમાં આ જોગવાઇને બદલાવાની સલાહ આપી છે.