મોરબીના વાંકાનેર તાલુકાના કણકોટ નજીક ગમખ્વાર અકસ્માતમાં કાર કૂવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 સદસ્યોના મોત. મૃતક પરિવાર અમદાવાદના વસ્ત્રાલનો.
અમદાવાદના વસ્ત્રાલના પરિવારને અકસ્માત
પ્રજાપતિ પરિવારના ચાર સદસ્યોના તત્કાલ મોત
વાંકાનેરના કણકોટ નજીક કાર ખાબકી કૂવામાં
દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે ફરવા ગયા બાદ પ્રજાપતિ પરિવારની ઇકો કાર ને મોરબીના વાંકાનેર તાલુકાના કણકોટ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં પરિવારના 4 સદસ્યોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા
મૃતકોમાં બે મહિલા-બે બાળકો
મોરબીના વાંકાનેર તાલુકાના કણકોટ નજીક ઘટેલી આ ગમખ્વાર દુર્ઘટનામાં એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતથી પ્રજાપતિ સમાજમાં કરુણાંતિકા સજાઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યા બાદ,આગળની તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલનો પરિવાર ફરવા ગયો હતો
આ ગમખ્વાર દુર્ઘટનાની વિગત પ્રમાણે, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવાનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે ઇકો કારમાં ગયા હતા. રવિવારે રાત્રીના સમયે તેઓ વાંકાનેર થઇ મકનસર ગામે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની ઈકો કાર નં. GJ-1-HZ-1453ના ચાલકે વાંકાનેર તાલુકાના કણકોટ નજીક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર સાઈડમાં નીચે ઊતરી ગઈ બાજુમાં આવેલા કૂવાની અંદર ખાબકી ગઈ હતી.
પાણી ભરેલા કૂવામાં પાછળનો દરવાજો ના ખુલ્યો
રોડની બાજુના બાગે આવેલા જે કૂવામાં ઇકો કાર ખાબકી તે પાણી ભરેલો હતો. કારની આગળના ભાગે બેઠેલા પ્રજાપતિ પરિવારના વડીલ રતિભાઈ તેમજ તેમનો દીકરો દિનેશ યેનકેન પ્રકારેણ કારમાંથી બહાર નીકળી ગયા, પરંતુ કારની પાછળનો દરવાજો પાણી ભરાઈ જતા ખુલ્યો નહિ અને પાછળ બેઠેલા રતિભાઈનાં પત્ની મંજુલાબેન પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ અને બે પૌત્ર આદિત્ય અને ઓમના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં
કેવી રીતે ઘટી દુર્ઘટના
રવિવારે રાત્રે કણકોટ ગામ પાસે રાજકોટ જવાના ખોરાણાવાળા ટૂંકા રસ્તા પર ઇકો કાર તેજ ગતિમાં આવી રહી હતી.અચાનક જ ચાલકે કાબુ ગુમાવતા 40 થી 50 ફૂટ દૂર આવેલા એક કૂવામાં ખાબકી હતી,ઘટના ઘટતા જ ઇકો ચાલક ડ્રાઇવર કૂદકો મારીને નીકળી ગયો હતો, અને કારમાં સવાર બે પુરુષ પણ બચી ગયા.પરંતુ બે બાળક સહિત બે મહિલા સાથે કાર કૂવામાં પડી હતી. કૂવામાં પાણી વધારે હોવાથી કાર પાણીમાં ડૂબી ગઈ હતી.
ઈકો ચાલક ફરાર-નોંધાઈ ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા રતિભાઈ પ્રજાપતિએ પોતાના પરિવારના ચાર સદસ્યો ગુમાવી દેતા ભાંગી પડ્યા હતા. વાંકાનેર નજીક થયેલા અકસ્માતમાં ગફલતભરી રીતે ગાડી ચલાવી આ અકસ્માત સર્જનાર ચાલક દુર્ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. કાર ચાલક સામે રતિભાઈ પ્રજાપતિએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.