જામનગરમાં અસામાજિક તત્વો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે ત્યારે છેલ્લા દિવસોમાં પટેલ કોલોની અને વિકાસગૃહ વિસ્તારમાં વેપારીઓ માથાભારે લોકોથી ત્રસ્ત થઈ થઈ ગયા છે.
જામનગરમાં અસામાજિક તત્વોનો વધતો ત્રાસ
ગમે ત્યારે લોકોને આપવામાં આવે છે ધાક ધમકી
ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કરી ઉઠાવ્યા સવાલ
જામનગરમાં અસામાજિક તત્વોનો વધતો ત્રાસ
જામનગર અવાર-નવાર લુખ્ખા તત્વોના આતંકથી ત્રસ્ત છે. સૂત્રો અનુસાર મળતી જાણકારી અનુસાર શહેરમાં રાજકીય સપોર્ટના દમ પર સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરવાના કેસ સામે આવી રહ્યા છે જેમાં હાલમાં પટેલ કોલોની અને વિકાસગૃહ વિસ્તારમાં આવા તત્વોનો આતંક ખૂબ વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં કાયદો વ્યવસ્થા જાણે હોય જ નહીં તેમ પોશ વિસ્તારમાં પણ વેપારીઓ સુરક્ષિત નથી. પટેલ કોલોની અને વિકાસગૃહ સહિતના વિસ્તારમાં વારંવાર બબાલના સમાચાર સામે આવે છે જેમાં માથાભારે શખ્સો બેફામ બનીને ખૂલેઆમ વેપારીઓને ધાક ધમકી આપી રહ્યા છે.
પટેલ કોલોની, વિકાસગૃહ વિસ્તારમાં રંજાડથી લોકો પરેશાન
નોંધનીય છે કે જામનગરમાં પહેલેથી જયેશ પટેલ ગેંગ જેવા માથાભારે શખ્સોના કારણે લોકો પરેશાન થતાં આવે છે. જામનગરમાં વિવિધ વિસ્તારોમાં નાની મોટી ગેંગ બની ગઈ છે જે સામાન્ય પ્રજાને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે. પટેલ કોલોની વિસ્તારમાં લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ સમસ્યા દિવસે દિવસે મોટી બનતી જાય છે ત્યારે વેપારીઓ તથા સામાન્ય પ્રજા જ્યાં એક તરફ ભયભીત છે ત્યાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેની માંગ કરવામાં આવી છે. અસામાજિક તત્વો દિવસે દિવસે બેકાબૂ બની રહ્યા છે ત્યારે કેટલાંક એવાં નામ સામે આવી રહ્યાં છે જેમાં સિદ્ધાર્થસિંહ જાડેજા, દેવલો (ડોન) તરીકે કુખ્યાત, અને મહેન્દ્રસિંહ સોઢાનું નામ શહેરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
જામનગરની આ માથાકૂટ મુદ્દે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીએ પણ સવાલો ઊભા કર્યા છે. તેમણે ટ્વિટ કરીને સવાલ પૂછ્યો છે કે કોણ છે આવા અસામાજિક તત્વો? અને આવા લોકોને કોણ રાજકીય આશરો આપે છે. ધનરાજ નથવાણીએ CMથી લઈને અમિત શાહ અને PMને ટેગ કરીને ચેતવ્યુ છે કે હવે સચેત થઈ જવાનો સમય આવી ગયો છે.
નોંધનીય છે કે જામનગરની આ સમસ્યા આજની નથી. છેલ્લા ઘણા મહિનાઓથી જામનગરમાં માથાભારે શખ્સો માથું ઊંચકી રહ્યા છે જે મોટા મોટા નેતાઓના સપોર્ટના બળે આખા શહેરમાં બેફામ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા છે. અગાઉ પરિમલ નથવાણીએ પણ જામનગરને લઈને સવાલો ઊભા કર્યા હતા. ગાંધીનગરમાં ઘણીવાર જામનગરના કાયદા વ્યવસ્થા મુદ્દે રજૂઆતો કરવામાં આવે છે.