ગુજરાતનાં વેપારીઓને સરકારે આપી મોટી રાહત, 15 ઓગસ્ટ સુધી વેક્સિન લેવા માટેની સમયમર્યાદા વધારવામાં આવી, અગાઉ સરકારે 31 જૂલાઇ સુધીનો આપ્યો હતો સમય
ગુજરાતમાં વેપારીઓ માટે રાહતના સમાચાર
વેપારીઓને ફરજિયાત વેક્સિનેશનના સમયમાં મળી છૂટછાટ
15 ઓગસ્ટ સુધી વેપારી વેક્સિન લગાવી શકશે
રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.15મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.31 જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે તા.15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
અગાઉ ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ હતી
અગાઉ વેપારીઓ અને સેવાકીય સંસ્થાના કર્મચારી માટે વેક્સિન ફરજીયાત લેવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હતી. આ તારીખ સુધી ગુજરાતના તમામ વેપારીઓ વેક્સિન લઈ લે તેના માટે સરકારે ખાસ કેમ્પનું આયોજન કર્યું હતું. પરંતુ આમ છતાં સરકારનો લક્ષ્યાંક પુરો થઈ શક્યો નથી. વેપારીઓ વેક્સિન માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને અને ધંધો વેપાર છોડીને કેન્દ્ર પર જઈ રહ્યા છે. પરંતુ વેક્સિનના ડોઝ મર્યાદિત હોવાથી અનેક દિવસે વારો આવે છે. જેના કારણે સરકારને પણ સમજાય ગયું છે કે, આ સમય મર્યાદાને વધારવા સિવાય કોઈ ઉપાય નથી.