હાલમાં ઉનાળાનું વેકેશન તેની પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે લોકો વધુને વધુ ફરી લેવાનાં મૂડમાં છે. આ સ્થિતિમાં સરદાર સરોવર ડેમ પાસે નિર્મિત વિશ્વનાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોવા પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. પરંતુ પ્રવાસીઓની સંખ્યાનાં પ્રમાણમાં વ્યવસ્થાનો થોડો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં આવતા પ્રવાસીઓમાં અપર્યાપ્ત ટિકિટ અને એરિયલ વ્યૂ સુવિધા બાબતે અસંતોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે સરદારનાં સાંનિધ્યમાં શું ઝંખે છે સહેલાણીઓ તે જોઈએ આ અહેવાલમાં.
31 ઓકટોમ્બર, 2018નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું લોકાર્પણ કરાયું તે પછી તેને નિહાળવા આવનારા પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. દુનિયાની અજાયબી જેવી આ પ્રતિમાને જોવા અને તેની આસપાસનો નજારો માણવા રોજનાં 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યાં છે. અત્યાર સુધીમાં 15 લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યાં છે. જેનાં કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 37 કરોડ રૂપિયા જેટલી આવક પણ થઇ છે.
હાલમાં આ વેકેશનનો સમય હોવાંથી રોજનાં 15થી 20 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે અને આ સ્ટેચ્યુને નિહાળી આનંદની લાગણી પણ વ્યક્ત કરી રહ્યાં છે. પરંતુ હાલ 10થી 15 હજાર પ્રવાસીઓ સુધી જ ટિકિટ આપવામાં આવે છે. વળી 1 વાગે ટિકિટ બારી બંધ કરી દેવામાં આવે છે જેનાં કારણે ઘણાં પ્રવાસીઓને સ્ટેચ્યૂને અંદરથી માણવાની તક મળતી નથી. દૂરથી આવેલા પ્રવાસીઓ પૈસા ખર્ચવા તૈયાર હોય છે પરંતુ તેમ છતાં ટિકિટ મળતી નથી. હાલ ગરમી વધારે પડી રહી હોવાંથી લોકો સાંજના સમયે ફરવાનો આગ્રહ રાખે છે. પરંતુ બપોર બાદ ટિકિટ મળતી ન હોવાનાં કારણે અનેક પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યાં છે.
માત્ર મોડે સુધી અને વધુને વધુ પ્રવાસીઓને ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થાની જ વાત નહીં પરંતુ એરિયલ વ્યૂથી સ્ટેચ્યૂનાં નજારાને નિહાળવા આવતા પ્રવાસીઓને પણ નિરાશ થવું પડી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનાં લોકાર્પણ બાદ સ્ટેચ્યૂનાં એરિયલ વ્યૂ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. હેલિકોપ્ટર દ્વારા પ્રતિમાનો એરિયલ વ્યૂ નિહાળવા માટે 2900 રૂપિયાની ટિકિટ રાખી હોવા છતાં પ્રવાસીઓનો ખૂબ જ ધસારો રહ્યો હતો.
પરંતુ આ સેવા માંડ બે મહિના જ ચાલી અને બંધ થઈ ગઈ. એક તરફ વેકેશનને કારણે પ્રવાસીઓને ધસારો જોવા મળી રહ્યો છે અને આ તરફ છેલ્લાં 22 દિવસથી હેલિકોપ્ટર સેવા બંધ હાલતમાં છે. હેલિકોપ્ટર સેવાની કચેરી પર તાળા જોવા મળી રહ્યાં છે. જે લોકો એરિયલ વ્યૂને માણવા આવી રહ્યાં છે તે લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યાં છે. હેલિકોપ્ટર સેવા ફરી વાર શરૂ થાય તેવી પ્રવાસીઓ માંગણી કરી રહ્યાં છે.
નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને અહીં રહેલા સરદાર સરોવર નર્મદા બંધને કારણે પણ દર વર્ષે 5 લાખ જેટલાં પ્રવાસીઓ તો આવતા જ હતાં પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાં બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસામાં હજુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. પરંતુ પ્રવાસીઓનાં આ ધસારાને ટકાવી રાખવા માટે તંત્રએ માંગ જેટલી ટિકિટ, ટિકિટ આપવાનો સમયગાળો અને હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરવા ધ્યાન આપવું પડશે.