સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટ કંઇ ડાંગથી ઓછુ નહી હો..સાબરકાંઠામાં વરસાદી માહોલને કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. પરિણામે પોળો ફોરેસ્ટમાં ધોધ અને ઝરણા સક્રીય બન્યા છે. જ્યારે ડુંગરો તો લીલી ચાદર ઓઢીને ન બેઠા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદને પગલે અહીં વનરાજી ખીલી ઉઠી છે. જ્યાં નજર પડે ત્યાં માત્ર હરિયાળી જોવા મળી રહી છે અને પાછું નાના મોટા ધોધ સક્રિય થતા નજારો કંઇક ઓર જ લાગી રહ્યો છે. લીલોતરીથી ઢંકાયેલા રસ્તા, વાદળછાયુ વાતાવરણ અને ખળખળ વહેતા પાણીનો નજારો એટલો આહ્લલાદ્દક કે અહીં કલાકોના કલાકો વિતાવો તો પણ મન ન ભરાય.
ધોધ-ઝરણાઓથી ખીલી ઉઠ્યુ પોળો ફોરેસ્ટ
ચોમાસાની ઋતુમાં વિજયનગરના જંગલો પ્રવાસીઓનું એક માત્ર મનપસંદ સ્થળ બની ગયુ છે. સતત વરસાદ થયાના પગલે ગત વર્ષે ઓછા પાણીથી સુકાઈ ગયેલા ઝરણા સહિત પાણીના ધોધ પણ વહેતા થયા છે. આવો નજારો તો માત્ર ઉતત્ર ગુજરાત તરફ જ જોવા મળે.કુદરતી રીતે જ અસ્તિત્વ પામેલા ઝરણા તેમજ ધોધ મીની કાશ્મીર જેવી અનુભૂતિ કરાવે છે તે કહેવુ કંઇ ખોટુ નહી ગણાય. કુદરતી સાંનિધ્ય સિવાય અહીં પૌરાણિક મંદિરો આવેલા છે. આથી છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના પગલે પોળો ફોરેસ્ટ પ્રવાસીઓનું ઘસારો વધી રહ્યો છે.
પ્રવાસીઓનું ફેવરિટ પ્લેસ બન્યુ પોલો ફોરેસ્ટ
વિજયનગરમાં પોળોના જંગલને કારણે પ્રવાસીઓની અવર જવર વધતા આસપાસના લોકોને પણ રોજગારી મળી રહી છે. અહીં રહેવા-જમવાની સુવિધા પુરી પાડતા કેટલાક ગેસ્ટ હાઉસ પણ છે. ત્યારે હાલમાં નાના-નાના તળાવો, ડુંગરાળ વિસ્તાર તથા ધોધ સક્રીય થતા સહેલાણીઓ મોબાઇલમાં સેલ્ફી પડાવતા જોવા મળી રહ્યા છે.
કુદરત સોંદર્ય વચ્ચે મ્હાલવાનો લ્હાવો લેવા લોકો ક્યાંય ક્યાંયથી અહીં આવી પહોંચ્યા છે. જો કે તંત્ર દ્વારા અમુક જગ્યાઓ પર સાવચેતીને લઇને પ્રતિંબધો લગાવવામાં આવ્યા છે. ત્યારે જો હાલમાં તમારે નજીકમાં નજીક કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવો હોય તો પોળો ફોરેસ્ટ બેસ્ટ પ્લેસ છે.