કોરોના વાઈરસ દુનિયાભરમાં પ્રસર્યો છે ત્યારે ટૂરિઝમ વ્યવસાય પણ તેની અસરમાંથી બાકાત રહ્યો નથી. ઉનાળુ વેકેશનમાં છેલ્લા બે મહિનાથી યુરોપ સહિતના દેશોમાં પ્રવાસે જવાની તૈયારી પ્રવાસી કરી રહ્યા હતા ત્યારે જ કોરોના વાઈરસને કારણે ગુજરાતીઓએ ટૂર પેકેજો રદ કર્યાં. ગુજરાતીઓએ હવે ટૂર પેકેજો રદ કરાવવા સાથે ભારતમાં જ ફરવા જવાના પ્લાન બનાવી લીધા છે. વિદેશ પ્રવાસ જતાં ગુજરાતીઓ ડર ના કારણે હવે નજીકમાં જ બહારના પ્રવાસે વેકેશન ગાળવાના પ્લાન કરી રહ્યા છે.
કોરોના વાઈરસને કારણે ગુજરાતીઓએ ટૂર પેકેજો રદ કર્યાં
ગુજરાતમાંથી 5 હજાર લોકોએ હાલ પૂરતો વિદેશ પ્રવાસ રદ કર્યો
હવે ફરવાના શોખીન ગુજરાતીઓએ ડોમેસ્ટિક પ્રવાસ એટલે કે, હિમાચલ, કેરાલા સહિતનાં ટૂર પેકેજો નક્કી કર્યાં છે. કોરોનાને લીધે ફોરેન ટૂર પર અસર થઇ છે પણ ડોમેસ્ટિક પ્રવાસ વધ્યો છે. આ સિઝનમાં ભારતનાં જ પ્રવાસન સ્થળોએ જવા નક્કી કર્યું છે. અત્યારે સ્વિટર્ઝલેન્ડ સહિત યુરોપના દેશોમાં ફરવા જવા પિક સિઝન ગણાય છે ત્યારે કોરોના વાઈરસને લઈને ગુજરાતી પ્રવાસીઓએ યુરોપ જવાનુ જ માંડી વાળ્યુ છે. ગુજરાતમાંથી 5 હજાર લોકોએ હાલ પૂરતો વિદેશ પ્રવાસ રદ કર્યો છે.
એક માત્ર સિંગાપોરમાં જ ડ્રીમ ક્રૂઝ બંધની 2 હજાર ગુજરાતીઓએ ટિકિટો રદ કરી છે. લોકોને વિઝા વગેરેનો ખર્ચ છે. કેન્દ્ર સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. જેમાં ઇરાન,ઇટાલી, ચીન સહિત યુરોપના દેશોમાં હાલ પૂરતો પ્રવાસ ટાળવા અપીલ કરાઇ છે. જેના કારણે લોકોએ ફોરેન ટૂર પર જવાનું માંડી વાળતાં ટૂર ઓપરેટરોને આર્થિક ફટકો પડયો છે.
આ અંગે નવભારત ટ્રાવેલ્સના નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રૂપ બુકિંગમાં થોડી તકલીફ થઇ રહી છે. અત્યારે રશિયા, બાલી, કંબોડિયા જનારો એક વર્ગ છે, જયારે ભારતમાં ફરવા જનારા ટૂરિસ્ટની સંખ્યા વધી છે. ખાસ કરીને ઉત્તર ભારત, દક્ષિણ ભારત વગેરે સ્થળોએ જવાનું લોકો પ્લાનિંગ કરી રહ્યા છે અને ઈન્કવાયરી પણ કરી રહ્યા છે.
આ અંગે અજય મોદી ટુર્સના આયોજક આલાપભાઇ મોદીએ જણાવ્યું કે હાલમાં પરીક્ષા ચાલી રહી છે. એટલે સાચું ચિત્ર થોડા દિવસ પછી ખબર પડશે. હાલમાં વેઈટ એન્ડ વોચ છે. ઇન્કવાયરી છે પણ મટીરિયલાઇઝેશન થતાં વાર લાગશે.