વિધાનસભાના બે દિવસીય સત્રમાં કોંગ્રેસનો સરકાર પર આરોપ. તાઉતે વાવાઝોડાંની સહાયમાં ગોબાચારી.વ્યાપક નુકસાન છતાં સહાયમાં વિસંગતતા. સરકારે કહ્યું,રાજનીતિ જ ખોટી.
તાઉતે વાવાઝોડાની સહાયમાં વિસંગતતા; કોંગ્રેસ
સરકારે બધું જ આપ્યું છે,કોંગ્રેસની રાજનીતિ સહાનુભૂતિની
ધારાસભ્ય પૂંજા વંશના કેન્દ્રીય સહાય પર પણ આરોપ
ગુજરાત વિધાનસભાનું ટૂંકુ અને બે દિવસીય સત્ર શરુ થતા જ વિપક્ષ કોંગ્રેસે રણનીતિ મુજબ જ રાજ્ય સરકારને ઘેરવાનું શરુ કર્યું છે.સૌરાષ્ટ્રના ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે તાઉતે વાવાઝોડા દરમિયાન ખેડૂતોને વ્યાપક નુકસાન થયા સાથે પેકેજ સહાયમાં ભારે વિસંગતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
"તાઉતે" વાવાઝોડામાં સહાય અપૂરતી -વંશનો આરોપ
ગુજરાતમાં બે માસ પૂર્વે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ,અમરેલી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તબાહી મચાવી હતી. ઉનાળુ પાક કેરી અને નાળીયેરીનો તો જાણે સોથ વાળી દીધો હતો. સર્વે બાદ લગભગ 3 હજાર કરોડનું નુકસાન તાઉતેથી થયું હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં શ્રી વંશે આરોપ લગાવ્યો હતો કે, 2020માં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ અંગે કેન્દ્ર સરકાર પાસે 7,200 કરોડની માંગ કરી હતી,જે કેન્દ્ર સરકારે આજ સુધી ગુજરાતને ચૂકવી નથી. તાઉતે વાવાઝોડામાં કેશ ડોલ્સ અને ઘરવખરીમાં પણ ગોબાચારી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો
ધારાસભ્ય વંશે ઉમેર્યું હતું કે,કેન્દ્રમાં UPA સરકાર હતી ત્યારે ગુજરાતને અન્યાયની વાત કરતા હતા. હવે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે જ અન્યાય કરી રહી છે.
વિપક્ષના વંશને સરકારનો દંશ
વિધાનસભામાં ધારાસભ્ય પૂંજા વંશનાં તાઉતે સહાય અને કેન્દ્રિય સહાય અંગેના આરોપનો વળતો જવાબ આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ભાજપ સરકારે પૂરતી મદદ કરી છે અને કેન્દ્ર સરકારે 1 હજાર કરોડ ફાળવ્યા છે. ગુજરાતની પ્રજા કોરોનામાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.ત્યારે લોકોની સહાય કરવાની જગ્યાએ વિપક્ષ કોંગ્રેસ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે વિધાનસભામાં રાજનીતિ કરી રહી છે. રાજ્ય સરકારે પ્રત્યેક મૃતક દીઠ 50 હજાર રૂપિયા અને અનાથ બાળકોને 4 હજાર અને 02 હજારની જોગવાઇ કરી જ છે.સરકારે આપત્તિના સમયમાં લોકોને મદદ કરી છે.અને વધુ માટે સરકાર જિલ્લા કક્ષાએ ડેથ ઓડિટ કમિટીના આધારે સહાયનો નિર્ણય કરશે
મંગળવારે સત્રનો અંતિમ દિવસ
આમ વિપક્ષ,પોતાની આગોતરી તૈયારી પ્રમાણે વિધાનસભામાં રાજ્ય સરકારને બહુવિધ પ્રશ્નોથી મૂંઝવવા પ્રયત્ન કરી રહ્યો છે.હવે મંગળવારે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે.ત્યારે, કોંગ્રેસ કેવા મોરચે લડે છે તે રસપ્રદ રહેશે.