અમદાવાદ હવે બન્યું છે વોર ઝોન. આ સાંભળીને આશ્ચર્ય જરૂર થશે. પરંતુ અકસ્માત મોતના ચોંકાવનારા આંકડા જ કહી રહ્યા છે કે હવે અમદાવાદ શહેર વોર ઝોન બની રહ્યો છે. એક વર્ષની અંદર 320 લોકોના અકસ્માતમાં મોત નિપજયા છે. આ અકસ્માત મોત પાછળ કોણ જવાબદાર? કેવી રીતે અટકશે રોડ અકસ્માત? અને આ અકસ્માતથી કેવા દુઃખમાં સરી પડે છે મૃતકોના પરિવાર.
હાઈવે પર કે શહેરના રોડ પર માર્ગ સલામતી અને અકસ્માતથી બચવા માટે ઠેર ઠેર સૂચનાઓ દર્શાવતા બોર્ડ લગાવેલા હોય છે. પરંતુ આપણા વાહનની સ્પીડ એટલી બધી હોય છે કે તે તરફ જોવાનો આપણને સમય જ મળતો નથી. એક આ સામાન્ય ભૂલના કારણે રાજ્યમાં રોજે રોજ અનેક લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે. આ જ કારણ છે કે અમદાવાદના માર્ગો જાણે વોરઝોન હોય તે રીતે લોકો જીવ ખોઈ રહ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે એક વર્ષની અંદર અમદાવાદમા 320 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. અમદાવાદ શહેરમાં 45 લાખ વાહનો છે. પરંતુ વાહન ચલાવતી મોટાભાગની વ્યકિતમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃતિનો અભાવ છે. અથવા છે તો તેના તરપ ઉપેક્ષા સેવે છે. ઓવર સ્પીડ હેલ્મેટ નહિ પહેરવું શીટ બેલ્ટ નહિ બાંધવા અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવી. આ તમામ કારણોના કારણે અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. અકસ્માત માટે જવાબદાર વાહન ચાલકો જ છે. ટ્રાફિક નિયમનુ પાલન નહિ કરીને તેઓ અકસ્માતને નોતરે છે.
રાજ્યમાં રોજ રોજ અનેક લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. માત્ર અમદાવાદ શહેરમાં જ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યાના આંકડા પર નજર ફેરવવામાં આવે તો વર્ષ 2018મા અમદાવાદ શહેરમાં 320 લોકોના મોત થયા હતા. જેમાં 60 મહિલા અને 260 પુરુષનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલામાંથી 80 ટકા લોકોની ઉંમર 35થી 40 વર્ષની હતી. ગુજરાતમાં અકસ્માત મોતનો આંકડો 7000 સુધી પહોંચ્યો છે. ભારતમાં દર વર્ષે 1.47 લાખ લોકો રોડ અકસ્માતમા મૃત્યુ પામે છે. આ ચૌંકાવનારા આકંડા જોઈને તમને પણ થશે કે સલામતીથી વાહન ચલાવવુ કેટલું જરૂરી છે.
વર્ષ-2018મા અમદાવાદશહેરમાં 320 લોકોના મોત થયા હતા
જેમાં 60 મહિલા અને 260 પુરુષનો સમાવેશ થાય છે
મૃત્યુ પામેલામાંથી 80 ટકા લોકોની ઉમર 35થી 40 વર્ષની હતી
ગુજરાતમાં અકસ્માતમોતનો આંકડો 7000 સુધી પહોંચ્યો છે
ભારતમાં દરવર્ષે 1.47 લાખ લોકો રોડ અકસ્માતમા મૃત્યુ પામે છે
2018માં ભારતમા 1.47 લાખ લોકો અકસ્માતમા મૃત્યુ પામ્યા. રોડ અકસ્માત હવે દેશનો ગંભીર મુદ્દો બની ગયો છે. આતંકવાદ અને દુશ્મનોના હુમલાથી લોકોને બચાવી શકાય છે. પરંતુ 'રોડ વોર'થી લોકોને બચાવવા પોલીસ માટે પણ મુશ્કેલ છે. પોતાનો જીવ બચાવવો દરેક વાહનચાલકના હાથમાં જ છે. જ્યારે અકસ્માતમાં કોઈ સ્વજન મૃત્યુ પામે છે ત્યારે સૌથી દયનીય સ્થિતિમાં તેનો પરિવાર મુકાય છે. આ જુઓ નિવૃત્ત જીવન ગુજારી રહેલા મુકેશ પંચાલના એકના એક દીકરા રવિનુ એસજી હાઈવે પર અકસ્માતમા મોત નિપજ્યુ. રવિએ હેલ્મેટ પહેર્યુ હતુ તેમ છતાં તેનું મોત થયું. અકસ્માતનું કારણ સામેના વાહનચાલકની બેફામ ગતિ તો હતી જ પરંતુ જો રવિએ પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળું હેલમેટ પહેર્યુ હોત તો જીવનની શક્યતા વધી જાત. આ ઘટનાથી એ નિર્ણય આપણે કરવાનો છે કે થોડા પૈસા બચાવવા છે કે જીવન! આ ઘટનાથી તમામ વાહન ચાલકોએ જાગૃત થવાની જરૂર છે.
અમદાવાદના `વોર ઝોન'માં 320 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે પોલીસ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરીને લોકોને જાગૃત કરી રહી છે. પરંતુ લોકોની અને તેમના પરિવારની સુરક્ષા તો તેમની જાગૃતિ અને વાહનની બ્રેક પર જ નિર્ભર કરે છે. કેમ કે અતિની કોઈ ગતિ હોતી નથી.