ઓમિક્રોન વેરિઅન્ટ હવે દેશના 17 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુલ 108 કેસ નોંધાયા છે. જેમાંથી 42 દર્દીઓ સાજા થયા છે. આ મામલે દિલ્હી બીજા નંબરે છે. અહીં કુલ 79 કેસ નોંધાયા છે જેમાંથી 23 દર્દીઓ સાજા થયા છે.
કોરોના વાયરસનાં કેસમાં વધારો
ઓમિક્રૉન બન્યો મોટી આફત
અનેક રાજ્યોમાં પ્રતિબંધો લાગ્યા
દેશભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે સતત ટેન્શન વધી રહ્યું છે, એક બાદ એક રાજ્યમાં પ્રતિબંધો લાગી રહ્યા છે. એવામાં આજે એક જ દિવસમાં ઓમિક્રૉનનાં કેસમક 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઇકાલે દેશમાં ઓમિક્રૉનનાં કેસ 358 હતા જે આજે વધીને 415 થઈ ગયા છે જેમાંથી 115 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જોકે છેલ્લા 24 કલાકમાં તો માત્ર એક જ દર્દી સાજો થયો છે. આંકડાઓ પરથી કહી શકાય કે ઓમિક્રૉનનાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
મહારાષ્ટ્ર ઓમિક્રૉનમાં પણ અવ્વલ
દેશના 17 રાજ્યોમાં આ વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે ત્યારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 108 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને દિલ્હી આ મામલે બીજા નંબર પર છે. દિલ્હીમાં 79 ઓમિક્રૉનનાં કેસ નોંધાયા છે. નોંધનીય છે કે દેશમાં ડેલ્ટા વેરિયન્ટનાં કારણે જ્યારે બીજી લહેર આવી હતી ત્યારે પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે કેસ સામે આવતા હતા.
ગુજરાતમાં 43 પહોંચ્યો આંકડો
આ સિવાય ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31, રાજસ્થાનમાં 22 કેસ નોંધાયા છે. હરિયાણા, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં 4-4 કેસ નોંધાયા છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ ઓમિક્રોન કેસ નોંધાયા છે.ઓમિક્રોનના બે કેસ ઉત્તર પ્રદેશમાં જ્યારે ચંદીગઢ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં એક-એક કેસ નોંધાયા છે. ઉત્તરાખંડ અને ચંદીગઢના બંને દર્દીઓ સાજા થઈ ગયા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ઓમિક્રોનના ખતરા વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 7,189 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ગત દિવસની સરખામણીએ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. એક દિવસ પહેલા જ કોરોનાના 6650 કેસ નોંધાયા હતા.