ઝેરી કેમિકલની અંદર પાણી ભેળવીને તેને દારૂ તરીકે ગામડાઓમાં મોકલાતા બોટાદના લઠ્ઠાકાંડમાં કેટલીય જિંદગીઓ હોમાઈ ગઈ.
લઠ્ઠાકાંડમાં અનેક પરિવારો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ
ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 39 લોકોના મૃત્યુ
ધરપકડ કરાયેલ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે
બોટાદના બરવાળા લઠ્ઠાકાંડે અનેક પરિવારો બરબાદ કરી દીધા છે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇના પતિ છીનવી લીધા, તો કોઇનો દીકરો છીનવી લીધો તો કોઇનો પુત્ર છીનવી લીધો. એમ અનેક પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 39 લોકોના મૃત્યુ થયા છે.
કહેવાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે એ બધાને ખબર છે. પરંતુ રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ મળે છે, દેશી હોય કે ઈંગ્લિશ બુટલેગરો ઘર સુધી દારૂની ડિલીવરી આપે છે. પણ આ બધું કોની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે એ પણ તમે જાણતા જ હશો. પરંતુ આ રહેમનજર આજે બોટાદના લઠ્ઠાકાંડમાં કેટલાંક પરિવાર માટે જિંદગીભરની સજા બની ગઈ છે. કારણ કે બોટાદના આ લઠ્ઠાકાંડમાં કોઈએ ભાઈ ગુમાવ્યો તો કોઈએ પતિ. તો કોઈએ પિતા અને કોઈએ દીકરો.
ધરપકડ કરાયેલ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે
જેમાં ભાવનગર સિવિલમાં કુલ 88 દર્દીઓને સારવાર માટે લવાયા હતા. જેમાંથી હાલમાં 72 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 2 દર્દીઓની હાલત ગંભીર છે. તો બીજી બાજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે.
બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો દાખલ કરાયો
આ ઘટનામાં ધંધુકા, બરવાળા અને રાણપુરમાં મળીને 3 પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. બરવાળા 14માંથી 7 શખ્સોની અટકાયત કરાઇ છે. જ્યારે રાણપુરમાં 11 સામે ગુનો દાખલ કરાયો છે જ્યારે 6 શખ્સોને ઝડપી લેવાયા છે. તો ધંધુકામાં 8 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે અને તમામની ધરપકડ કરી લેવાઇ છે.
'નશાનું વેચાણ કરનાર પર કાર્યવાહી કરવાના આદેશ'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
'ગુનેગારોને કડકમાં કડક સજા કરો'
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી આ બેઠકમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામા આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે.