અમદાવાદમાં સાસરિયાંના ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.
સાસરિયાંના ત્રાસથી કંટાળી જઈ પરિણીતાનો આપઘાત
દહેજ ભૂખ્યા સસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ
દેહજમાં નવું મકાન લેવા બાબતે ત્રાસ આપ્યાની રાવ
અમદાવાદના સોલામાં સાસરિયાંના અતિશય ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. માતા-પિતાએ દહેજ આપ્યું હોવા છતાં નવું મકાન લેવા બાબતે ત્રાસ આપતાં પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
'તારા બાપે કરિયાવર કેમ નથી આપ્યો'
આ મામલે ગોતાની વિકાસનગર સોસાયટીમાં રહેતાં લક્ષ્મીબહેન મકવાણાએ દુષ્પ્રેરણાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. લક્ષ્મીબહેનની દીકરી પ્રીતિએ સમાજના રીતરિવાજ મુજબ મહેસાણામાં રહેતા રાજુ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ શરૂઆતમાં સાસરિયાંએ પ્રીતિને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ પ્રીતિ અને તેનો પતિ ચાંદલોડિયા ખાતે રહેવા આવી ગયાં હતાં. આ દરમિયાન પ્રીતિ સાથે પતિએ ઘરકામ બાબતે ઝઘડા કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રીતિના સસરા જ્યારે ઘરે આવતા ત્યારે તારા બાપે કરિયાવર કેમ નથી આપ્યો તેમ કહીને તેને માનસિક ત્રાસ આપતા હતા.
પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
પતિ પણ તેમનું ઉપરાણું લઈ પ્રીતિ સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. આ બાબતે પ્રીતિ અવારનવાર તેની માતા લક્ષ્મીબહેનને ફોન કરીને જાણ કરતી હતી. દીકરીનું ઘર ન તૂટે તે માટે માતાએ જમાઈને સોનાના દાગીના, મોબાઈલ ફોન તેમજ એક્ટિવા દહેજમાં આપ્યું હતું. તેમ છતાં પતિ પત્નીને નવું ઘર લેવા માટે અવારનવાર ત્રાસ આપતો હતો. માતા લક્ષ્મીબહેન દીકરીને બધું સારું થઇ જશે તેમ કહીને સાંત્વના આપતાં હતાં.થોડા દિવસ પહેલાં લક્ષ્મીબહેનના પતિ સુરેશભાઈએ દીકરીને ફોન કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો, જેથી વેવાઈએ સુરેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે તમે જલદી ચાંદલોડિયા ખાતે આવી જાઓ. તેમણે આમ કહેતાં સુરેશભાઈ અને લક્ષ્મીબહેન દીકરીના ઘરે પહોંચી ગયાં હતાં. દીકરી પ્રીતિએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી
દીકરીએ આપઘાત કરી લેતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ ગઈ હતી. દીકરીને માનસિક ત્રાસ આપી હેરાન કરતાં હોવાથી તેણે અંતિમ પગલું ભર્યું હતું. આથી લક્ષ્મીબહેને સોલા પોલીસ સ્ટેશનમાં જમાઈ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.