રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવારોએ પેટા ચૂંટણીને લઇને ફોર્મ ભરી દીધું છે. ભાજપ તરફથી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં.
રાજ્યસભાની બે સીટો માટે અલગ-અલગ ચૂંટણીને પડકારતી કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ હવે બધી રીતે ડૂબી રહી છે. લોકશાહી માટે બોલવા કોંગ્રેસ લાયક નથી.
સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યસભાની પેટા ચૂંટણી લડવી કે ન લડવી એ નિર્ણય કોંગ્રેસે કરવાનો છે. કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ માન્ય ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યસભાની બે સીટો માટે અલગ-અલગ ચૂંટણીને પડકારતી કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
એટલે કે, હવે ભાજપના બંને ઉમેદવાર જુગલ ઠાકોર અને એસ.જયશંકરનું ચૂંટાવાનું નક્કી છે. ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચનો જવાબ યોગ્ય માન્યો અને કોંગ્રેસની અરજી ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ચૂંટણી પંચના નોટિફિકેશન પર દખલગીરી નહીં કરીએ.
મહત્ત્વનું છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભામાં જીત બાદ ગુજરાતમાં બે રાજ્યસભાની સીટ ખાલી પડી હતી. ત્યારે આ બંને સીટો પર ચૂંટણી પંચે જાહેરાનામું પાડી અને અલગ-અલગ ચૂંટણી કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇ કોંગ્રેસે વિરોધ કર્યો અને બંને સીટો પર એક સાથે ચૂંટણી કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.