જૂનાગઢનાં કેશોદમાં તુવેર કાંડનો પર્દાફાશ થયો છે. તુવેર કાંડ સામે આવતાં અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે 3 અધિકારીઓ સહિત 7 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે, 24 એપ્રિલે કેશોદનાં માર્કેટિંગ યાર્ડમાંથી તુવેરકાંડનો પર્દાફાશ થયો હતો. ખરીદી પૂર્ણ થતાં યાર્ડનાં શેડમાંથી માલ ગોડાઉન સુધી પહોંચતો કરવાનો હતો. જો કે 3 ટ્રકમાંથી નબળી ગુણવત્તાની તુવેર મળી આવી હતી. નબળી તુવેર વાળી ટેકાનાં ભાવે ખરીદેલી 3241 ગુણી સીઝ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા કુલ 90 લાખની કિંમતનો જથ્થો સીઝ કરાયો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તુવેર કાંડની તપાસમાં કેશોદનાં રાજકીય નેતાનાં નામ સામે આવે તેવી શક્યતા છે. આ કેસમાં અનેક અધિકારી અને કર્મચારીનાં નામ પણ ખુલી શકે છે.
આ મામલે સરકારનાં મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ પણ કરી છે. ત્યાર બાદ 27 એપ્રિલે ભરત વઘાસીયાની વાડીમાંથી તુવેર મળી હતી. ભરત વઘાસીયાની વાડીમાંથી 700 બોરી શંકાસ્પદ તુવેર મળતા અનેક સવાલ ઉઠ્યાં હતાં. તુવેર મળ્યાં બાદ ખેડૂત હિત રક્ષક સમિતીનાં સભ્યોએ ઉપવાસ શરૂ કર્યા અને વિસાવદરનાં MLA હર્ષદ રિબડીયાએ ધરણાં કર્યા. આ સમગ્ર મામલે કલેક્ટરે લેખિતમાં યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. ત્યારે હવે આ કાંડમાં ક્યા સુધી તપાસ પહોંચશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે.
મગફળી કૌભાંડ બાદ રાજ્યમાં તુવેર કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે ધારાસભ્ય સહિત યાર્ડનાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. તપાસ કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. કેશોદ અને વિસાવદરમાં ટેકાનાં ભાવે ખરીદેલી તુવેરમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વિસાવદરમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા ધરણાં પર બેસતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિસાવદરમાં તુવેરનો જથ્થો પરત લાવી તપાસ કરાશે તેવી ખાતરી આપી છે. જો કે, તુવેર કૌભાંડમાં 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે હજુ સુધી એક પણ શખ્સની ધરપકડ કરી નથી. ત્યારે પોલીસ મોટાં માથાને છાવરતી હોવાનું જણાઈ રહ્યું છે.