રાજ્યમાં ચૂંટણીનાં જોર અને શોર હવે શમી ગયાં છે ત્યારે હવે ખેડૂતોનો અવાજ ફરી વાર સંભળાવા લાગ્યો છે. કારણ કે, પોતાની મહેનતથી ઉપજાવેલી ખેતપેદાશ પર વેપારીઓ તંત્ર બેફામ બની કૌભાંડ આચરવા લાગ્યાં છે. તંત્રની મિલિભગત અને વેપારીઓનાં બદઈરાદાથી ખેડૂતોની તુવેર ખેડૂતો જ પર બટ્ટો લગાડનારી બની છે. કારણ એ છે કે ખેડૂતોની ગુણવત્તાવાળી તુવેરમાં વેપારીઓ અને ટેકા તંત્રની મલિનતાએ ભેળસેળ કરી છે. તપાસ આદરી દેવાઈ છે પરંતુ તે હંમેશની માફક જ છે.
જૂનાગઢમાં હજુ મગફળીકાંડની યાદો ખેડૂતોનાં દિમાગમાંથી વિસરાઈ નથી. ત્યાં ફરી વાર આ જ જિલ્લામાં તુવેરકૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં કપાસ, મગફળી, ઘઉંની સાથે ખેડૂતો પાસેથી તુવેર, અડદ, મગ અને રાયડાની ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરી હતી. જેમાં કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પુરવઠા નિગમની દેખરેખ નીચે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે પૈકીનો અમુક તુવેરનો માલ જેતપુર ખાતેનાં વેર હાઉસમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં ચકાસણી દરમ્યાન તુવેરમાં મોટા ભાગની તુવેરનો જથ્થો હલકી ગુણવતાનો હોવાનું બહાર આવ્યું હતું.
ખરીદ કેન્દ્રમાં રહેલા આ તુવેરદાળનાં એક એક કટ્ટામાં ઠાંસી ઠાંસીને ભ્રષ્ટાચાર ભર્યો છે. એક તરફ ખેડૂતોને ટેકાનાં ભાવ મેળવવામાં અને પોતાનાં પાક વેચવામાં પ્રામાણિકતાનાં અનેક પુરાવા આપવા પડે છે છતાં પણ તેમને નિષ્ફળતા સાંપડી રહી છે. જ્યારે બીજી તરફ વચેટિયા રાજ ખતમ કરવાનાં અનેક વાયદા અને વચનો બાદ પણ કેશોદ ખરીદ કેન્દ્રમાં વેપારીઓ જ વચેટિયાઓ બની ખેડૂતોનાં નામે લાભ ઊઠાવી રહ્યાં છે અને સાચા ખેડૂતોને બદનામ કરી રહ્યાં છે. જૂનાગઢનાં કેશોદ ખરીદ કેન્દ્રોમાં સારી તુવેરદાળમાં ખરાબ તુવેરદાળ ભેળવીને વેચવાનાં કારસાનો પર્દાફાશ થયો છે. પરંતુ મંત્રીને આ કોઈ મોટી ઘટના લાગતી નથી.
ગ્રેડર દ્વારા સંપૂર્ણ ચકાસણી બાદ જ ખેડૂતો પાસેથી જથ્થો સ્વીકારવામાં આવે છે તો પછી આ હલકીકક્ષાની તુવેરદાળ વેરહાઉસમાં આવી કેમ ગઈ આ સવાલનો જવાબ હાલ તો કોઈ પાસે નથી. પરંતુ શંકાઓ કંઈ ઓછી નથી. તુવેર કૌભાંડ મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે તુવેર ભેળવીને મળતિયાઓને માલામાલ કરવાનું આ કૌભાંડ છે. અનેક વાર રજૂઆત છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવતું. સરકારની મિલીભગતથી જ કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. તો બીજી તરફ લલિત વસોયાએ કૌભાંડ મોટા માથાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે સૌરાષ્ટ્ર ઝોનનાં પુરવઠા અધિકારીએ પણ તપાસ કરી છે અને તેમણે પણ આ સમગ્ર કૌભાંડ સામે ઝીણી નજર કરી છે. હાલમાં જેતપુરથી રીજેક્ટ થયેલી કુલ 3,241 તુવેરનાં કટાને કેશોદ યાર્ડમાં પરત લવાયાં છે. જેને તુરંત પુરવઠા વિભાગે સીઝ કરી દીધાં છે. કૌભાંડની જાણ થતાં જ ગત મોડી રાત્રે આ અંગે પુરવઠા મામલતદાર એમ.કે.મોરીએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના બાદ પીએસઆઈ ડી.જે.ઝાલાએ તપાસ હાથ ધરીને તાબડતોબ કેટલાંક લોકો સામે તુવેર ભેળસેળ કૌભાંડમાં ફરિયાદ દાખલ કરી છે. તુવેર ભેળસેળ કૌભાંડમાં પ્રથમદર્શી રીતે એલેક્સ કંપનીનાં ગ્રેડર ફૈજલ સબીર મૂંગલ, આસિસ્ટન્ટ ખરીદી ઈન્ચાર્જ જે.બી.દેસાઈ, ગોડાઉન મજૂર મુકાદમ જયેશ લક્ષ્મણ તેમજ મુકાદમ હિતેશ મકવાણા, તેમજ માણેકવાડા કિસાન સંઘ પ્રમુખ કાના વીરડા અને કેટલાક ખેડૂતો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે આ કૌભાંડમાં હાલ તો શંકાનાં આધારે માત્ર કર્મચારીઓની જ ધરપકડ કરવામાં આવી છે પરંતુ સામાન્ય કર્મચારીઓ જેનાં ઈશારે આ કૌભાંડ આચરવામાં સહભાગી બન્યાં છે તેમનાં સુધી તપાસનો રેલો પહોંચશે કે કેમ તે જોવું રહ્યું.