જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ તમામ પક્ષના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધવા લાગ્યા છે.
આવતીકાલે PM મોદી ગુજરાત પ્રવાસે આવશે
4:30 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે
ડીજીટલ ભારત સપ્તાહની PM શરૂઆત કરાવશે
આજ રોજ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે PM મોદી પણ આવતી કાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં જ તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. દરેક પક્ષ આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. બપોરના 3 કલાકે PM મોદી અમદાવાદ પહોંચશે. બાદમાં 4 વાગ્યા સુધી ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે. જ્યારે 4:30 કલાકે મહાત્મા મંદિર પહોંચશે. અહીં તેઓ ડીજીટલ ભારત સપ્તાહની શરૂઆત કરાવશે. બાદમાં સાંજના 6 વાગે તેઓ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે. રાજ્યમાં હાલમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે. આ કનેક્ટિવિટીના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી સેવાઓ નાગરિકોને ઘરે બેઠાં જ પ્રાપ્ત થશે.
રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે
આથી, ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે હાલ રાજ્યના 'સ્ટેટલેડ' મોડલથી ભારત નેટ ફેઝ-2નું અમલીકરણ દેશના 9 રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપલબ્ધિ અંગે CM ભૂપેન્દ્ર પટેલ જણાવે છે કે, 'ગુજરાતે વિવિધ ડિજિટલ પ્રોજેક્ટ્સની પહેલ કરી છે. રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. જેના કારણે ગ્રામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સામાન્ય માણસો પણ હવે વિવિધ સરકારી સેવાઓના લાભ સરળતાથી મેળવી શકશે. રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી સરકારી સેવાઓની ડીજીટલ પહોંચ અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ.'
વર્ષ 2020માં ડીજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી વધવાથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમને હવે વેગ મળશે. હાલમાં આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના 11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14000થી વધુ ગ્રામ પંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે અને તેના દ્વારા 70 લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.