આવતીકાલે ભગવાન જગન્નનાથની 142મી રથયાત્રા નીકળશે. ત્યારે આજે એટલે કે અષાઢ સુદ એકમના રોજ ભગવાન જગન્નનાથ સોનાવેશમાં દર્શન આપશે. આજે ભગવાનના રથની પણ પૂજા કરવામાં આવશે. તો છેલ્લા ત્રણ દિવસથી રથયાત્રામાં સામેલ થનારા ગજરાજોનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે.
આજે ભગવાનના રથની પૂજા કર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવશે. રથને શુભ મૂહૂર્તમાં મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવશે. તો બનારસ, ગોકુળ, મથુરાના સાધુ સંતો પણ ભગવનાના રથ અને મંદિરમાં પૂજા અર્ચના કરશે.
16 ગજરાજોનું મેડિકલ ચેકઅપ
જ્યારે છેલ્લા ત્રણ દિવસથી રથયાત્રામાં સામેલ થનારા ગજરાજોનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. કાંકરીયા પ્રાણી સંગ્રહાલાયના એક્સપર્ટ અને ડોક્ટરોની ટીમે 16 ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ છે. મેડિકલ ચેકઅપ બાદ 16માંથી 15 ગજરાજદ શારીરિક રીતે સ્વસ્થ હોવાનો રિપોર્ટ સામે આવ્યો.
જ્યારે એક ગજરાજ શારીરિક રીતે અસવ્સ્થ હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો. જે બાદ ડોક્ટરોની ટીમે આ ગજરાજને રથયાત્રામાં નીકળવા માટે મનાઈ કરી છે. ઉપરાંત રથયાત્રા દરમિયાન તમામ રૂટ પર ગજરાજોની સાથે ડોક્ટરો તથા મેડિકલની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. સાથે જ ડોક્ટરોએ જનતાને અપીલ કરી છે કે રૂટ દરમિયાન ગજરાજની સૂંઢમાં પૈસા મુકવા નહીં પણ મહાવતના હાથમાં આપવા.