નંબર પ્લેટની ઓળખ કરીને ટોલ પ્લાઝા પર લેવામાં આવશે ફી
આનાથી ટોલ પ્લાઝા પર વાહનોની ભીડ ઓછી થઈ શકે છે
હવે ટોલ પ્લાઝા પર વાહનોની નંબર પ્લેટની ઓળખ કરીને ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ટોલ વસૂલવામાં આવશે. કેન્દ્ર સરકારે તેનું પાયલોટ ટેસ્ટ શરૂ કરી દીધું છે. સરકારનું માનવું છે કે, આનાથી ટોલ પ્લાઝા પર વાહનોની ભીડ ઓછી થશે અને હાઇવે પર ચાલતા વાહન પાસેથી પણ એટલી જ ફી વસૂલવામાં આવશે. આ માહિતી સોમવારે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની 19મી ઈન્ડો-યુએસ ઈકોનોમિક સમિટમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આપી હતી.
ગડકરીએ કહ્યું કે, ટોલ કલેક્શનની નવી સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જે 'ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા' ટેક્નોલોજી પર આધારિત છે. આમાં વાહનને ફી વસૂલવા માટે ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નથી. ઓટોમેટેડ ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા નંબર પ્લેટ જોઈને ટોલ વસૂલ કરશે. ગડકરીએ કહ્યું કે,ન આના કારણે વાહનવ્યવહાર રોકાયા વિના અથવા ધીમો કર્યા વિના ચાલુ રહેશે અને જે વાહન હાઇવે પર ચાલશે, તે જ ચાર્જ લેવામાં આવશે.
આ સાથે સમિટમાં ભારત-અમેરિકા સંબંધો અંગે ગડકરીએ કહ્યું હતું કે, બંને સ્વભાવિક સાથી એકબીજાની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. હંમેશા પરસ્પર વિશ્વાસ, આદર અને સહકાર દર્શાવ્યો. તેમણે અમેરિકન રોકાણકારોને ભારતના માર્ગ નિર્માણ પ્રોજેક્ટ, ઇલેક્ટ્રિક વાહન બેટરીના ઉત્પાદન અને રોપવે, કેબલ કાર વગેરે જેવી સેવાઓના વિકાસમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.
Addressing 19th Indo-US Economic Summit on "75 Years of US India Relations: The New Agenda for next 25 years" https://t.co/kwWwkEuhTg
2018-19માં ટોલ પ્લાઝા પર વાહનો સરેરાશ 8 મિનિટ રોકાયા હતા. ફાસ્ટેગ 2020માં શરૂ થયું હતું, જેના કારણે આજે રાહ જોવાનો સમય ઘટાડીને 47 સેકન્ડ કરવામાં આવ્યો છે. હવે પણ ઘણા પ્લાઝા શહેરોની નજીક અથવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હોવાને કારણે વધુ સમય લઈ રહ્યા છે. એટલા માટે સુધારાઓ જરૂરી છે.
ટ્રાફિકને સુધારવા માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) દાખલ કરવામાં આવી રહી છે. આ તમામ નવા અને હાલના ફોર-લેન હાઈવે પર લાગુ થશે. 2024 સુધીમાં 15 હજાર કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ (ITS) વડે સુધારવામાં આવશે, જેનાથી માર્ગ અકસ્માતમાં ઘટાડો થશે.
ગયા મહિને ગડકરીએ કહ્યું હતું કે, સરકાર પાસે વાહનોમાં સેટેલાઇટ આધારિત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લગાવીને ટોલ વસૂલવાનો વિકલ્પ પણ છે. તેનાથી વાહન માલિકના બેંક ખાતામાંથી આપોઆપ પૈસા કપાઈ જશે. હવે બીજો વિકલ્પ નંબર પ્લેટ વિશે જણાવવામાં આવ્યો છે, જે FASTagને રિપ્લેસ કરશે. તેમણે કહ્યું કે, આ બંનેમાંથી કયું પસંદ કરવું, આખરી નિર્ણય લેવાનો બાકી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ નવી યોજનાઓ જણાવી
ઈલેક્ટ્રીક હાઈવે સરકારની મહત્વકાંક્ષી યોજના છે. આવા હાઇવે પર ચાલતા ભારે વાહનો, ટ્રકો અને બસો ઓવરહેડ પાવર કેબલથી ચાર્જ થાય છે. તેનાથી ટ્રાફિક જામ નહીં થાય, મુસાફરીનો સમય પણ બચશે. તે સૌર અને પવન ઉર્જા પર આધારિત હશે, જે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવશે, જે સરકારનું લક્ષ્ય છે.
સરકાર 10 હજાર કિલોમીટર લાંબા 27 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવી રહી છે. તેના પર 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. તમામ ટોલ પ્લાઝા સૌર ઉર્જા પર પણ ચાલશે. આનાથી રસ્તાઓ પર થતા અકસ્માતો અટકશે, આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે અને રોજગારીને પણ વેગ મળશે. પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન મંજૂરીઓ મેળવવા અને તેને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ કરશે.