નડિયાદમાં 7 વર્ષની તાન્યાનું 2017માં અપહરણ કરીને મર્ડર કર્યાની ઘટનામાં સેશન્સ કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
તાન્યા મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
3 આરોપીઓને ફટકારાઇ આજીવન કેદ
18 સપ્ટેમ્બર, 2017ની સાંજે કર્યું હતું તાન્યાનું અપહરણ
2017ના નડિયાદના ચકચારી તાન્યા અપહરણ અને હત્યા કેસમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. મુખ્ય આરોપી મિત, તેનો ભાઈ ધ્રુવ અને મા જિગીષા પટેલ દોષિત કરાર કરાયા છે. આ કેસમાં બે આરોપીઓ બનાવ સમયે સગીર હોય તેનો કેસ અન્ય કોર્ટમાં પડતર છે. આરોપીઓને 4 લાખનુ વળતર ચૂકવવા પણ આદેશ કરાયો છે.
આ ઘટનામાં 2017 માં બાળકીના અપહરણ બાદ હત્યા કરી દેવાઇ હતી. દાદી પાસે રહેતી 7 વર્ષની તાન્યાનું અપહરણ કરાયું હતું. ખંડણીની લાલચમાં પડોશમાં જ રહેતા યુવકોએ અપહરણ
કર્યું હતું. આ ઘટનામાં વકીલોએ આરોપીનો કેસ ન લડવા ઠરાવ કર્યો હતો.
15 દિવસ પહેલાં જ તાન્યાના અપહરણનું કાવતરુ રચ્યું હતું
સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો, 18 સપ્ટેમ્બર 2017 ના રોજ માસુમ તાન્યા જ્યારે તેના ઘર નજીક રમી રહી હતી ત્યારે તેનું અપહરણ કરીને હત્યા કરી દેવાઇ હતી. તાન્યા તેની દાદી સાથે નડિયાદમાં એકલી રહેતી હતી. 18 સપ્ટેમ્બર, 2017 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ તાન્યાનું અપહરણ કરાયું હતું. સમગ્ર કૌભાંડમાં તાન્યાના પાડોશી મિત પટેલની સંડોવણી સામે આવી હતી. તેણે 15 દિવસ પહેલાં જ તાન્યાના અપહરણનું કાવતરુ રચ્યું હતું. 22 વર્ષના મીત પટેલના માથે દેવું થઈ ગયુ હતું. જેથી તેણે પરિવારજન અને મિત્રોની મદદથી તાન્યાનું અપહરણ રચીને ખંડણી માંગવાનો પ્લાન ઘડ્યો હતો. 18 લાખની ખંડણીની લાલચમાં તાન્યાને ચોકલેટ આપવાના બહાને મિત પટેલે અપહરણ કર્યું હતું. જણાવી દઇએ કે, તાન્યાના માતા-પિતા વર્ષોથી લંડનમાં રહેતા હતાં.
મિત પટેલની માતા જીગીશાએ બાળકીના હાથપગ બાંધવા દોરી આપી હતી
આ ઘટનામાં મિતને તાન્યાના માતા-પિતા લંડનથી રૂપિયા મોકલતા હતા તે વાતની જાણ હતી. આથી તેણે સમગ્ર ષડયંત્ર રચીને તાન્યાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તેના માતા અને ભાઈની પણ સંડોવણી હતી. મિતની માતા જીગીશાએ ગાડીમાં બાળકીના હાથપગ બાંધવા દોરી આપી હતી. જ્યારે નાનો ભાઈ ધ્રુવ અને બે સગીર ડોક્ટર પાસેથી ઉંઘની ગોળી લાવ્યા હતાં. મિત પટેલે તાન્યાનું અપહરણ કરીને તેને આણંદ લઈ જઇ આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ તે ઘરે આવી ગયો હતો અને સોસાયટીના અન્ય રહીશોની મદદમાં આવીને તાન્યાની શોધખોળનું નાટક પણ રચ્યું હતું.
તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના સંખ્યાડ ગામેથી મળી આવ્યો હતો
મહીસાગર નદી કાંઠે તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના સંખ્યાડ ગામેથી મળી આવ્યો હતો. તાન્યાનો મૃતદેહ મળ્યો ત્યારે તાન્યાના શરીરના અંગો કાપેલી હાલતમાં મળી આવ્યા હતાં. તાન્યાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસના ધમધમાટની ગતિ આગળ વધારી હતી અને અંતે પોલીસે સોસાયટીમાં રહેતા ત્રણ અને બે સગીરની ધરપકડ કરી હતી.
શું હતો તાન્યા મર્ડર કેસ?
18 સપ્ટેમ્બર, 2017ની સાંજે તાન્યાનું અપહરણ થયું હતું
22 સપ્ટેમ્બરે તાન્યાને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી
28 સપ્ટેમ્બરે આરોપી મિતના ભાઈ અને તેની માતા સહિત અન્યની ધરપકડ થઈ હતી
7 વર્ષની તાન્યા નડીયાદમાં પોતાના દાદી સાથે રહેતી હતી
તાન્યાના માતા-પિતા સ્ટૂડન્ટ વીઝા પર લંડનમાં રહેતા હતા
પાડોશીએ જ અન્ય સાથે મળીને તાન્યાનું અપહરણ કર્યું હતું
18 લાખની ખંડણીની લાલચમાં કર્યું હતું અપહરણ
તાન્યાને ચોકલેટ આપવાના બહાને મિત પટેલે અપહરણ કર્યું હતું
મિતની માતા જીગીશાએ ગાડીમાં બાળકીના હાથપગ બાંધવા દોરી આપી હતી
નાનો ભાઈ ધ્રૂવ અને બે સગીર ડોક્ટર પાસેથી ઉંઘની ગોળી લાવ્યા હતા
અપહરણ કર્યા બાદ તાન્યાને આણંદના સંખયાળ ગામ લઈ જવાઈ હતી
તાન્યાની શોધખોળમાં ખેડા જિલ્લાની તમામ પોલીસ લાગી હતી
તાન્યાની હત્યા કર્યા બાદ મહીસાગર નદીમાં મૃતદેહ ફેંક્યો હતો
આણંદ જિલ્લાના સંખયાળ ગામ પાસેથી નદી કાંઠેથી મૃતદેહ મળ્યો હતો
તાન્યાના શરીરના અંગો કાપેલી હાલતમાં મળ્યા હતા
પોલીસે સોસાયટીમાં જ રહેતા 3 આરોપી અને બે સગીરની ધરપકડ કરી હતી