અમદાવાદમાં પ્રવિણ તોગડિયા આમરણાંત ઉપવાસ પર છે. તેમના ઉપવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે રાજ્યભરમાંથી VHPના કાર્યકરો ઉપવાસ છાવણીની મુલાકાત લેશે. હાલમાં પ્રવીણ તોગડિયાની તબિયત સ્થિર છે. તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. તોગડિયા સાથે ઉપવાસ પર ઉતરેલા કાર્યકરો ને મળવા ઉપવાસ સ્થળ પર સેંકડો લોકો આવી રહ્યા છે.
આમદાવાદ ઉપરાંત ખેડા અને મહેસાણામાંથી પણ તોગડિયાને મળવા માટે સમર્થકો આવી રહ્યા છે. સૂત્રોદ્વારા માહિતી મુજબ VHPના રાષ્ટ્રીય નેતાઓ પણ અમદાવાદમાં આવે તેવી શકયતાઓ છે. પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયની બહાર જ અનશન શરૂ કરનાર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે 'સોમનાથ જેવું જ ભવ્ય મંદિર અયોધ્યામાં ભગવાન રામનું બને તેવી મારી બાળપણથી જ ઈચ્છા રહી છે. આ સ્વપ્નને પૂરું કરવા માટે મેં મારી ડોક્ટર તરીકેની ધીકતી કમાણીના વ્યવસાયને પણ તિલાંજલિ આપી હતી.
આ ઉપરાંત તોગડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને તેવું મારું જ નહીં કરોડો હિંદુઓનું સ્વપ્ન છે હું માત્ર તેમનો એક પ્રતિનિધિ છું. નરેન્દ્રભાઇને વડાપ્રધાનની ખુરશી નહોતી મળી ત્યારે તેઓ અમને ખાતરી આપતા કે સત્તા મળતા જ રામ મંદિર સહિત તમામ માગણી ચપટી વગાડતા પૂરી કરી દેશે. હું ચાર વર્ષથી મારા કાન સરવા કરીને બેઠો છું પણ હજુ સુધી નરેન્દ્રભાઇની ચપટીનો અવાજ સાંભળવા મળ્યો નથી.
ભાજપ પાસે એક સમયે માત્ર બે બેઠક હતી અને ત્યારબાદ તેમણે હિંદુઓને રામમંદિરનું વચન આપી હવે કેન્દ્રમાં બહુમતી મેળવી કરી છે પરંતુ ત્યારે વચન આપતી વખતે એમ નહોતું કહ્યું કે રામમંદિર બનાવવા માટે કોર્ટની મંજૂરી લેવી પડશે. કોર્ટ જ નિર્ણય લેવાની છે તેવું ત્યારે જ કહ્યું હોત તો ગોધરામાં 2002માં 59 કાર સેવકો ભૂંજાયા ના હોત.
પ્રવિણ તોગડિયાએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર આકાર પ્રહાર કરતા કહ્યું હતું કે મેં મુખ્યમંત્રી બનવાનો ઇનકાર કર્યો એટલે નરેન્દ્રભાઇને ગુજરાતની ગાદી મળી હતી. હું ચાર વર્ષ અગાઉ મનમોહન સરકાર સમક્ષ રામમંદિરની રજૂઆત કરતો ત્યારે નરેન્દ્ર મોદી મારા માટે તાળીઓ વગાડતા પરંતુ હવે હું રામમંદિરની વાત કરું છો તો અળખામણો લાગી રહ્યો છું. મારો નરેન્દ્રભાઇ સાથે વ્યક્તિગત ઝગડો નથી હું માત્ર અયોધ્યામાં રામ મંદિર બને તેમ ઇચ્છું છું. નરેન્દ્રભાઇ સેંકડો હિંદુઓની લાશ પર તમે સત્તા હાંસલ કરી છે.